Vadnagar Museum : વડનગર મ્યુઝિયમ પર્યટકોમાં લોકપ્રિય, 95 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા
Vadnagar Museum : વડનગર શહેર 2500 વર્ષ કરતાં પણ વધુ જૂના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલાનો અણમોલ ખજાનો ધરાવે છે. આ પ્રાચીન શહેરના સમૃદ્ધ વારસાને જાળવી રાખવા માટે અહીં વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમ 16 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન બાદ 1 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) મુજબ 31 ઓગસ્ટ 2025 સુધીમાં કુલ 95,658 મુલાકાતીઓએ આ સંગ્રહાલયની મુલાકાત લીધી છે.

આ મ્યુઝિયમ માત્ર ઇતિહાસપ્રેમીઓ માટે જ નહીં, પરંતુ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ સહિત દરેક વર્ગના લોકો માટે સુલભ બનાવવામાં આવ્યું છે. અહીં પ્રદર્શિત કલાકૃતિઓ વડનગરના 2500 વર્ષ જૂના વારસાને દર્શાવે છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે આ મ્યુઝિયમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પર્યટન માટે એક લોકપ્રિય સ્થળ બની રહ્યું છે.
આશરે 13,525 ચોરસ મીટરમાં ફેલાયેલા આ ભવ્ય સંગ્રહાલયમાં કુલ 9 થીમેટિક ગેલેરીઓ છે. આ ગેલેરીઓમાં વડનગરના કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન અને ભાષા જેવા પાસાઓને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
મ્યુઝિયમની બાજુમાં, 4,000 ચોરસ મીટરના ખોદકામ સ્થળ પર પુરાતત્વીય અવશેષો 16 થી 18 મીટરની ઊંડાઈએ જોઈ શકાય છે. મુલાકાતીઓને આ અનુભવ મળી રહે તે માટે એક ખાસ શેડ અને અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.
મ્યુઝિયમમાં 5,000 થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે, જેમાં માટીકામ, સિક્કા, ઝવેરાત, શસ્ત્રો, રમતના સાધનો, શિલ્પો અને માનવ અવશેષોનો સમાવેશ થાય છે. આ ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ઇતિહાસપ્રેમીઓને વડનગરના પ્રાચીન ભૂતકાળનો સચોટ પરિચય કરાવે છે.
નજીકના ભવિષ્યમાં 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) દરમિયાન પણ આ મ્યુઝિયમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કોન્ફરન્સ ગુજરાતના સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.












Click it and Unblock the Notifications
