વડોદરાના ગાયકવાડ પરિવારમાં 20000 કરોડના મિલકત વિવાદનો અંત
વડોદરા, 24 ઓક્ટોબર : વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાની મિલકત અંગેના છેલ્લાં 23 વર્ષથી ચાલતા વિવાદ-વિખવાદનો સુખદ અંત આવ્યો છે. કોર્ટ બહાર લક્ષ્મી વિલાસ પેલેસમાં જ ગાયકવાડ પરિવારના તમામ સભ્યો અને સોલિસિટરોની હાજરીમાં રાજવી સંપત્તિની વહેંચણી કરવામાં આવી છે.
બુધવારે આવેલા વિવાદના સુખદ અંતમાં સુપ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ તથા પેલેસ કમ્પાઉન્ડની તમામ મિલકત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના હિસ્સામાં આવી છે, જ્યારે પેલેસ કમ્પાઉન્ડ સિવાયના અન્ય ઇન્દુમતી, નજરબાગ અને અશોક બંગલા સહિતના મહેલ સંગ્રામસિંહ ગાયકવાડના હિસ્સે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પેલેસમાં રાજવી પરિવારના તમામ સભ્યો અને સોલિસિટરોની હાજરીમાં સમાધાનરૂપી થયેલી વહેંચણીના દસ્તાવેજી આધારો કોર્ટમાં રજૂ કરી આ મામલે ઔપચારિક અને કાયદેસરની કાર્યવાહી પણ સંપન્ન કરાઇ હતી. સર સયાજીરાવ ગાયકવાડના અનુગામી મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડના વંશજો વચ્ચે રાજવી પરિવારની મિલકતને લઇ છેલ્લાં 23 વર્ષથી કાનૂની જંગ છેડાયો હતો.
આ વિવાદમાં મહારાજ રણજિતસિંહ ગાયકવાડ અને તેમના લઘુબંધુ સંગ્રામસિંહ વચ્ચે બોલવાના પણ સંબંધ રહ્યા નહોતા. લક્ષ્મી વિલાસ પેલેસ સહિતના શહેરમાં આવેલા જુદા જુદા મહેલો ઉપરાંત હીરા, ઝવેરાત, સોના-ચાંદીના આભૂષણો, સાધનો અને અલૌકિક તથા ઐતિહાસિક વારસો ધરાવતા સંગ્રહો સહિતની અબજો રૂપિયાની મિલકતમાં હિસ્સા પર અધિકારને લઇને આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
મિલકતના વિવાદની સમાધાન ફોર્મ્યુલામાં સંગ્રામસિંહ ગાયકવાડ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ મિલકતમાં હિસ્સો આપવામાં આવ્યો છે. જેમાં સમરજિતસિંહ, સંગ્રામસિંહ ગાયકવાડ ઉપરાંત તેમની પાંચ બહેનો મૃણાલિનીરાજે, પ્રેમિલારાજે, સરલારાજે, વસુંધરારાજે અને લલિતાદેવીનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
