વંદે ગુજરાત વિકાસ યાત્રા ભરૂચના રાજપારડી અને રતનપોર ખાતે પહોંચી!
ગુજરાતના ૨૦ વર્ષોના વિકાસની ગાથા સાથે પરિભ્રમણ કરતી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં પણ ફરી રહી છે.
ગુજરાતના ૨૦ વર્ષોના વિકાસની ગાથા સાથે પરિભ્રમણ કરતી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં પણ ફરી રહી છે. ત્યારે, યાત્રાના ચોથા દિવસે, એટલે કે આ યાત્રા જિલ્લા પંચાયતની રાજપારડી બેઠકમા સમાવિષ્ઠ ગામોમાં આવી પહોંચી હતી. શ્રીમતી ડી.પી.શાહ વિધા મંદિર ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અહી રાજપારડી, ભીમપોર, સાંકળીયા ગામના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ ગામોના કેટલાક વિકાસ કામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરાયું હતુ. ત્યાર બાદ આ યાત્રા સાંજે રતનપોર મુકામે પહોંચી સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે વિવિધ યોજનાકીય જાણકારી પણ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી.
રાજપારડી ખાતે વંદે ગુજરાત વિકાસરથનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ વિવિધ વિભાગો અંતર્ગત યોજનાઓના ઓર્ડર ઉપરાંત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ૨૨૮ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ગુજરાતના વિકાસની ગાથા રજુ કરતા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો ઉદ્દેશ જનતાને વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી સહ લાભ આપવાનો છે. ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્રોએ મેળવેલ ભવ્ય વિકાસની ઝલક આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રજુ કરીને જનતાને યોગ્ય જાણકારી આપી.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગ તરફથી મંડપ યોજના, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તરફથી એફ.પી.એસ. દુકાનદારોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રોપાનું વિતરણ થયું. આદિજાતિ વિભાગ તરફ કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત ચેકનું વિતરણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી બીપીએલ લાભાર્થીઓને મીટર વિતરણ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી તાડપત્રી, પાઇપલાઇન, વાંવણીયુ, પમ્પ સેટ આપવામા આવ્યુ હતુ. રાજપારડી, સાંકડીયા, ભીમપોર ગામમાં અંદાજિત ૩૯ લાખના વિકાસકાર્યોનું ખાત મુર્હૂત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.