પાલનપુરના ચંડીસરથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ!
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ચંડીસરથી શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરસિંહ ડિંડોરે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ચંડીસરથી શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરસિંહ ડિંડોરે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડુતોને પાક સંરક્ષણ સાધનોના મંજુરી પત્રો, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી બહેનોને કીટ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કુબેરસિંહ ડિંડોરે જણાવ્યું હતુ કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી પછી ૪૫ વર્ષમાં ન થયો હોય તેટલો વિકાસ છેલ્લા ૨૦ વર્ષમાં થયો છે જે આ સરકારની નીતિઓને અભારી છે. વિકાસની રાજનીતિના લીધે વિકાસના ફળ છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી પહોંચ્યા છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં આમૂલ અને ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટો અને ૬ નગરપાલિકા વિસ્તારમાં તા. ૧૯ જુલાઇ સુધી પરિભ્રમણ કરશે. આ દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગરીબોની ચિંતા કરી તેમને રહેવા માટે પાકા ઘર, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે પુરી પાડી છે. તેમણે વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દિકરા- દિકરી વચ્ચે ભેદ રાખ્યા સિવાય તેમને ઉચ્ચ શિક્ષણ અપાવીએ.
આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા, પૂર્વ મંત્રી હરજીવન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.