વલસાડ-ડાંગમાં વરસાદથી મોટુ નુકસાન, વળતર માટે સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે થયેલા વ્યાપક નુકસાન થયુ છે. આ નુકસાનના વળતર માટે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
તેમણે અસરગ્રસ્ત પરિવારોને સમયસર આર્થિક સહાય મળી રહે તે માટે ઝડપી કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું છે.

સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં તેમના મતવિસ્તારમાં થયેલા નુકસાનની વિગતો આપી છે તે અનુસાર, કાંઠા વિસ્તારના સુરવાડા ગામમાં તોફાની પવનના કારણે અંદાજે 50 જેટલા ઘરોના છાપરા ઉડી ગયા છે.
માછીમારોની 8થી 10 બોટ તૂટી જતાં આજીવિકાને મોટું નુકસાન થયું છે. આ ઘટનામાં 6 નાગરિકોને નાની-મોટી ઈજા થઈ છે અને ઘણા વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
વાંસદાના સિણધઈ ગામમાં લગભગ 250 જેટલા ઘરોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ઘણા પરિવારો ઘરવિહોણા બન્યા છે. ખેતરોમાં ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને અસંખ્ય ઝાડ ધરાશાયી થયા છે.
ચીખલી, કપરાડા અને ધરમપુર: ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ મોટું નુકસાન નોંધાયું છે. કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.
આનાથી ખેડૂતોને ખેતીમાં અને પશુપાલકોને પશુઓની અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આંતરિક માર્ગો પર અસર થતાં અંતરિયાળ વિસ્તારોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.
તેમણે લખ્યુ કે, હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે યોગ્ય રાહત પેકેજ જાહેર કરવું અત્યંત જરૂરી છે.
હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત લોકોના જીવનને સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
