વાઇબ્રન્ટ ગુજરાત: પાકાં આવાસો ગુજરાતની આગવી ઓળખ બન્યા
વાઇબ્રન્ટ ગુજરાત: ટાઢ, તાપ અને વરસાદ સામે સુરક્ષા અને રક્ષણ મળે તેવી પ્રત્યેક વ્યક્તિની અંતરની ઈચ્છા હોય છે, ત્યારે છેવાડાના ગરીબ અને વંચિત પરિવારજનોને ઘરનું પાકુ ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર વ્યક્તિ માટે પોતાનું મકાન બનાવવાની આર્થિક શક્તિ હોતી નથી, ત્યારે ગુજરાત સરકાર આવા વ્યક્તિની મદદે આવી તેના સ્વપ્નને હકીકત બનાવવા વિવિધ આવાસલક્ષી યોજનાઓ દ્વારા જરૂરી સહાય પૂરી પાડે છે.

શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને માટે સારાં સુવિધાયુક્ત મકાનની સગવડતા મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીથી આવાસોના નિર્માણ માટે પ્રેરણાદાયી સ્તુત્ય પગલાં લેવાયાં છે. શહેરો - નગરોને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં રહેતાં ગરીબો અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને વાજબી કિંમતના આવાસો પૂરા પાડવાના ઉમદા હેતુ સાથે શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાએ શહેરી જીવન સરળ બનાવ્યું છે.
ભારત સરકાર સીટી સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ રૂપિયા 1 લાખ, AHP અને PMAY-U ના BLC વર્ટિકલ્સ માટે રૂપિયા 1.5 લાખની સહાય કરે છે. PMAY-U અંતર્ગત આર્થિક રીતે નબળા વિભાગો (EWS) અને ઓછી આવક વાળા જૂથ (LIG) વર્ગના લાભાર્થીઓ માટે 6.5 ટકાના દરે વ્યાજ સબસિડી આપવામાં આવે છે. જે પ્રતિ ઘર રૂપિયા 2.67 લાખ જેટલી થાય છે. 118.20 લાખથી વધુ આવાસને મંજૂરી અપાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો વર્ષ 2015માં પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનના સમારકામ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂપિયા 120000 તથા ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા રૂપિયા 130000ની નાણાકીય સહાય આપે છે.
ગામની વિકલાંગ વ્યક્તિ, માત્ર એક દીકરી ધરાવતા કુટુંબો, આર્થિક રીતે નબળા વર્ગના લોકો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વગેરેને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 245613 આવાસ પૂર્ણ કરાયા છે
રાજ્યમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત વર્ષ 2021-22માં રૂપિયા 13501 લાખ અને વર્ષ 2022-23માં રૂપિયા 15324 લાખના ખર્ચે પાકાં આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. વ્યક્તિગત આવાસ યોજના હેઠળ રૂપિયા 201.78 કરોડના ખર્ચે 51676 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
હળપતિ આવાસ યોજના હેઠળ રૂપિયા 237.19 કરોડના ખર્ચે 23760 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નબળી આર્થિક સ્થિતિના કારણે ઘર વિહોણા અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને આવાસ માટે આર્થિક સહાય આપવાના ઉમદા હેતુથી ડૉ. આંબેડકર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત વર્ષ 2021-22માં રૂપિયા 51.05 કરોડના ખર્ચે 11692 આવાસ અને વર્ષ 2022-23માં રૂપિયા 79.96 કરોડના ખર્ચે 17619 પાકા આવાસો તૈયાર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ આવાસ યોજના થકી હજારો લોકોને પોતીકાં ઘરનો આનંદ અને સંતોષ મળ્યાં છે. દરેક નાગરિકને પોતાનું ઘરનું પાકું ઘર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની ગતિને બરકરાર રાખી આગળ ધપાવતા આજે ગુજરાત વિશ્વ ફલક ઉપર ગુંજી અને ગાજી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
