ભાજપે શા માટે હજી 4 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા નથી?
નવી સીમાંકનની સાથે વર્તમાન ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન સામે અસંતોષ ધરાવનારાઓ અને બળવાખોરોને કારણે બેવડી કસોટી આપવાની સ્થિતિ છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર, 2012 હોવાથી અગ્રણી રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની અંશત: અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ ચૂંટણીના વાતાવરણમાં ખરેખર ગરમાવો આવી ગયો છે.
કોંગ્રેસે પહેલા જાહેર કરેલી 98 ઉમેદવારોના નામની યાદીમાંથી 46 બેઠકો પર ઉમેદવારોના નામની યાદી આંતરિક બળવાના ભયથી પાછી ખેંચી લીધી છે. વાત અહીંથી ભડકી છે. હવે બાકી રહેલા 52 ઉમેદવારોમાં જેમના નામ નથી તેમના સમર્થકોએ કોંગ્રેસ પર દબાણ લાવવા માટે જાત ભાતના દાવ-પેચ અજમાવવા શરૂ કરી દીધા છે. કેટલાકે રાજીનામાં આપ્યાં છે તો કેટલાકે કાર્યાલય પર ધમાલ મચાવી છે.
ભાજપમાં પણ આવી જ સ્થિતિ છે. તફાવત માત્ર એટલો છે કે ભાજપમાં આંતરિક બળવો અંદર જ સમાવી લેવામાં આવતો હોવાથી તે જાહેર થતો નથી. હકીકત એવી જ સામે આવી રહી છે કે પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા ભાજપ સરકારના નાકે દમ આવી ગયો છે.
ભાજપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે કે નહીં અને લડશે તો કઇ બેઠક પરથી ચૂંટણી લડશે? કોંગ્રેસના આગેવાનોએ પોતાના મત વિસ્તારમાંથી ચૂંટણી લડી બતાવવાના આપેલા પડકારો વગેરે બાબતોને અટકાવવા મોદી મણિનગરથી જ ચૂંટણી લડશે એ જાહેર કરી દીધું છે.
ભાજપની એવી તો પૂંગી વાગી ગઇ છે કે અગાઉ ચાલતી ચર્ચા કે આ વખતની ચૂંટણીમાં 50 ટકા ઉમેદવારો નવા ચહેરા હશે તેને બાજુ પર મુકીને મોટા ભાગના ચહેરા રિપિટ કર્યા છે. આ પાછળનું એક કારણ પક્ષમાં ઉઠતો આંતરિક અસંતોષ ઠારવાનું હોઇ શકે છે.
ભાજપની યાદીની નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બાબત એ પણ છે કે પ્રથમ તબક્કાની ચાર બેઠકો કેશોદ(88), ધોરાજી(75), ગોંડલ(73) અને ગારિયાધાર(101) માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું કી રાખ્યું છે. આમ કરવાના સંભવિત પરિબળો અને કારણે એકથી વધારે છે. જો કે પ્રથમ દ્રષ્ટિએ જોઇએ તો આ એવી બેઠકો છે જેના પર ભાજપને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
આ માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007ની સ્થિતિ પર નજર કરવી પડે એમ છે. વર્ષ 2007ની ચૂંટણીની સરખામણીએ ગારિયાધાર નવી બેઠક છે. ત્યાંના જ્ઞાતિના સમીકરણો અને મતદારોનું વલણ પારખવું મુશ્કેલ હોવાથી હરિફ પક્ષોની વ્યૂહચરનાને આધારે મજબૂત ઉમેદવાર અંગે ચર્ચા કર્યા બાદ જાહેર કરાશે.
આ વખતે ભાજપે કેશુભાઇ પટેલને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર જોખમ લેવાનું સાહસ કરવાનું ટાળ્યું છે. આ કારણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ઉમેદવારો રિપિટ કર્યા છે. કેશોદ(88)ની બેઠક પર વર્ષ 2007માં ભાજપના એસસી આગેવાન મકવાણા વંદનાબહેન મનસુખભાઇ જીત્યા હતા. આ વખતે તેમાં જીતની શક્યતા નબળી જણાઇ રહી છે.
ધોરાજી(75)ની બેઠક પર વર્ષ 2007માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા જીત્યા હતા. તેમની સામે મજબૂત ઉમેદવાર મૂકવા માટે કોઇ નામ ચોક્કસ થઇ શક્યું નથી. ગોંડલ(73)ની બેઠક પર કોંગ્રેસે એનસીપીના ઉમેદવાર ચંદુ વઘાસિયાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ સામે ભાજપ રણનીતિ ઘડીને પોતાના ઉમેદવારો જાહેર કરશે.