ગાંધીનગરમાં શાહ સામે ઉમેદવારી નોંધાવનાર વાલજીભાઈનો બળાપો
ગાંધીનગરમાં શાહ સામે ઉમેદવારી નોંધાવનાર વાલજીભાઈનો બળાપો
દેશભરમાં ચૂંટણી પ્રચારની હોડ લાગી છે. વિવિધ પાર્ટીઓનાં નેતાઓ દ્વારા સભા અને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો વાત કરીએ ગાંધીનગર બેઠકની તો અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવનાર વાલજીભાઈ રાઠોડે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને નજર અંદાજ ન કરવા અપીલ કરી છે.

શાહ સામે શા માટે કરી ઉમેદવારી?
સમગ્ર વાત વિગતવાર જોઈએ તો ગાંધીનગર બેઠક ઉપરથી ઉમેદવારી કરનાર વાલજીભાઈએ ગોળીબારમાં પોતાનો પુત્ર ગુમાવ્યો હતો જે બાદ તેમણે અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવી છે. હવે પશ્ન એ ઉભો થાય છે કે પુત્રની મોતને અને શાહ સામેની ઉમેદવારીને શું સંબંધ..? તો તમામ વિગતો પર પ્રકાશ પાડવા વન ઈન્ડિયા ગુજરાતીએ વાલજીભાઈ સાથે મુલાકાત કરી હતી. વાલજીભાઈએ વન ઈન્ડિયા ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલાં પોલીસ ફાયરિંગમાં મારા એકના એક પુત્રનું મોત થયું, છતાં આ અંગે હજુ કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી. ઉપરાંત ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. લોકતંત્ર હોવા છતાં તંત્ર સામે લાચાર વાલજીભાઈએ ગાંધીનજરની જનતાને એક મહત્વનો સંદેશ આપતા કહ્યું છે કે "આજે મારો દીકરો છે કાલે તમારો હોઈ શકે છે" જણાવી દઈએ કે વર્ષ 2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં મૃત્યુ પામનારા ત્રણ દલિત યુવકોમાં વાલજીભાઈના સગીર પુત્ર મેહુલનો પણ સમાવેશ થતો હતો.

પુત્રને ન્યાય અપાવવા માંગું છું
પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં પુત્ર ગુમાવ્યા બાદ વાલજીભાઈ ન્યાય માગી રહ્યાં છે. વાલજીભાઈનું કહેવું છે કે સચિવાલયમાં મને પ્રવેશવા નથી દેવાતો. હું આટલા વર્ષા બાદ પણ ન્યાય માટે રજૂઆત નથી કરી શકતો. ત્યારે હવે ચૂંટણી જીતીને દલિતોનો અને મારા દિકરા માટે ન્યાયનો મુદ્દો ઉઠાવવા માગું છું.

દલિતો અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો વાલજીભાઈને ટેકો
ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર 23મીએ એકસાથે મતદાન થશે ત્યારે અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવ્યા બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તેમને ટેકો આપ્યો છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગરથી આ લોકસભા ચૂંટણીમાં અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવનાર વાલજીભાઈ ખેતમજૂરી કરે છે. જ્યારે તેમના પત્ની ચંદ્રિકાબેન છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. વાલજીભાઈએ 11માં ધોરણમાં ભણતો પુત્ર ગોળીબારમાં ગુમાવ્યો. ત્યારે ન્યાય ન મળતા હવે તેમણે ગાંધીનગરથી અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમજ દલિત રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સનું કહેવું છે લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો મહત્વપૂર્ણ મત આપીને ભાગ લેતાં પહેલા ગાંધીનગરની જનતાએ વાલજીભાઈને પણ સાંભળવા જોઈએ.












Click it and Unblock the Notifications
