ભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે
ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થતું નથી. અમદાવાદ જેવા શહેરોમાં તે 45 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાયેલ છે.
ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થતું નથી. અમદાવાદ જેવા શહેરોમાં તે 45 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાયેલ છે. પરંતુ આવી તીવ્ર ગરમીમાં સરદાર પટેલના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માટેનો ક્રેઝ પ્રવાસીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. દરરોજ આશરે 10 હજાર લોકો તેની મુલાકાત લેવા પહોંચે છે. છેલ્લા 7 મહિનામાં, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને પ્રવાસીઓ પાસેથી 35 કરોડની આવક પ્રાપ્ત થઇ છે.
અત્યાર સુધી 14 લાખ પ્રવાસીઓ આવ્યા ફરવા
ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી 14 લાખ પ્રવાસીઓ આ પ્રતિમાને જોવા આવી ચુક્યા છે. મધ્ય ગુજરાતના કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સ્થિત છે. તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. 2018 માં 31 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ અહીં દરરોજ પ્રવાસીઓની લાઈન લાગે છે. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના ટ્રસ્ટનો એ પણ દાવો છે કે સરદાર પટેલની પ્રતિમા હાલમાં ગુજરાતમાં મોસ્ટ એટ્રેક્ટિવ સ્પોટ છે. ઘણા સરકારી આંકડાઓમાં એવું જાણવા મળ્યું છે કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આવતા પ્રવાસીઓની સંખ્યા અન્ય પ્રવાસન સ્થળ કરતાં વધારે છે.
7 મહિનામાં 34.48 કરોડ રૂપિયાની આવક
નર્મદા વિભાગ સાથે જોડાયેલા એક અધિકારી અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક સરદાર પટેલ ટ્રસ્ટને આપવામાં આવી રહી છે. આનાથી સરકારે અત્યાર સુધીમાં 34.48 કરોડ રૂપિયા જમા કર્યા છે. પ્રવાસીઓના આગમનના એક જ મહિનામાં 3.78 લાખ લોકો આ સ્થળને જોવા પહોંચ્યા હતા. ત્યારે લગભગ 7 કરોડની આવક થઈ હતી. આ પછી, ડિસેમ્બરમાં 2.50 લાખ પ્રવાસીઓ આવ્યા, ત્યારે આ આંકડો 5.70 કરોડ રૂપિયા હતો. તો, ગયા મહિનામાં એટલે કે એપ્રિલમાં આવક 7.99 કરોડ રૂપિયા થઇ હતી.
ગરમી હોવા છતાં પ્રવાસીઓ ઘટી રહ્યા નથી
અગાઉ, ગુજરાતના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે દરરોજ આ સાઈટ પર 15,000 થી વધુ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવવાની આશા છે. તેમનો અંદાજ સાચો રહ્યો. હવે ગુજરાત રાજ્યના અને દેશના અન્ય રાજ્યોમાંથી અહીં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જો કે, રાજ્યમાં વધુ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે એસ્કેલેટર બનાવવામાં આવ્યા છે. જ્યાં પણ ખુલ્લી જગ્યા હોય ત્યાં શેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ વધશે
સરદાર પટેલ ટ્રસ્ટને આશા છે કે હવે ચોમાસાની શરૂઆત સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર વધુ પ્રવાસીઓ જોવા મળશે. ટ્રસ્ટના અધિકારીઓને એ પણ જોવાનું છે કે 3,000 કરોડની કિંમતે બનેલી આ સરદાર પટેલની પ્રતિમાના ખર્ચને તેઓ કેટલા સમયમાં પ્રવાસીઓ પાસેથી કાઢી શકશે. હાલ, તો 100 કરોડની આવકને પૂર્ણ થવામાં આખું વર્ષ લાગી શકે છે.