ઉત્તરપ્રદેશ: સાહિબાબાદમાં ફેક્ટરીમાં લાગી ભયંકર આગ, 13 ના મોત
આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. મૃતકોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે...
યુપીના સાહિબાબાદમાં એક કપડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગથી 13 લોકોના મોત નીપજ્યા છે. આગ લાગવાથી આસપાસના લોકોમાં પણ અફડાતફડી મચી ગઇ છે. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારની આ ફેક્ટરીમાં લેધરના જેકેટ બનાવવામાં આવતા હતા.
આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલિસને મામલાની જાણકારી આપવામાં આવી છે. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
આશંકા સેવાઇ રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. આગ એટલી ભીષણ હતી કે ત્યાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો.
ગાઝિયાબાદ પોલિસે જણાવ્યુ કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. મામલાની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ફેક્ટરીમાં સુરક્ષા માટે શું વ્યવસ્થા હતી તેની પણ તપાસ ચાલી રહી છે.
આ તરફ મુંબઇમાં મેમન રોડ પર સ્થિત એક ગોદામમાં આગ લાગી ગઇ. આગ લાગવાની સૂચના તાત્કાલિક ફાયર બ્રિગેડને આપવામાં આવી. હાલમાં ફાયર બ્રિગેડની 8 ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગઇ છે.