મોદીના ક્લીન ગંગા પ્લાનને ઠેસ; ગંગા નદીમાં 3 મહિનામાં 108 શબ વહાવડાવ્યા
ઉન્નાવ (લખનૌ), 13 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલા ક્લીન ગંગા અભિયાનને મોટો આંચકો આપે તેવા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં સફિપુર વિસ્તારમાં ગંગા નદીના પરિયરઘાટ નજીક ગઈ કાલે વણઓળખાયેલા ૩૦ મૃતદેહો તરતા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહત્વની બાબત એ છે કે ગંગા નદીમાં છેલ્લા 3 મહિનામાં 108 જેટલા મૃતદોહો મળી આવ્યા છે. આ મામલાની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશ સરકારે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત અહેલાલ અનુસાર આ મૃતદેહો ગંગા નદીને પરિયરઘાટ સાથે જોડતી એક નહેરમાં મળી આવ્યા હતા. નદીમાં આ પહેલા આટલી મોટી સંખ્યામાં ક્યારેય મૃતદેહો મળી આવ્યા ન હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જિલ્લા વહીવટીતંત્રના તમામ ટોચના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તે સ્થળે પહોંચી ગયા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ જાણકારી આપી હતી કે લોકો અપરિણીત છોકરીઓના મૃતદેહોને અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કરવાને બદલે તેને ગંગા નદીમાં પધરાવી દેતા હોય છે.
લખનૌના પોલીસ અધિકારી આર.કે. ચતુર્વેદીએ કહ્યું છે કે મોટા ભાગના મૃતદેહોના ટૂકડા થઈ ગયા છે. ઘણા લોકો જૂની રૂઢિ અનુસાર સ્વજનના મૃત્યુ બાદ અંતિમ ક્રિયાના ભાગરૂપે મૃતદેહ ગંગા નદીમાં પધરાવી દેતા હોય છે. ગંગામાં જળસ્તર ઘટી જવાને લીધે આ મૃતદેહો કાંઠા પર આવી ગયા હોય એવું લાગે છે.

ઉન્નાવના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્યા અગ્રવાલે કહ્યું છે કે આસમગ્ર તપાસ પૂરી થયા બાદ હકીકત જાણવા મળશે. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) સતિષ ગણેશે કહ્યું કે મોટા ભાગના મૃતદેહો કોહવાઈ ગયા છે તેથી તેની ઓળખ કરવી મુશ્કેલ છે. આ ઘટના કોઈ ગુના સંબંધિત હોય એવું લાગતું નથી, તે છતાં પોલીસ બધી બાજુએ તપાસ કરી રહી છે. બિનસત્તાવાર રીતે મળી આવેલા મૃતદેહોનો આંકડો દોઢસોને પાર કરે છે.












Click it and Unblock the Notifications
