ઝારખંડના ધનબાદમાં રહેણાંક ઈમારતમાં આગ, 14 લોકોના મોત
ઝારખંડના ધનબાદમાં એક રહેણાંક બિલ્ડીંગમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી ગઈ હતી. આગમાં 14 લોકોના મોતના સમાચાર છે.
ધનબાદ : ઝારખંડના ધનબાદમાં એક મોટી આગની ઘટના સામે આવી છે. મંગળવારે અહીં એક બહુમાળી રહેણાંક ઈમારતમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી. આ આગમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી અને કામગીરી ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, આ આગની ઘટના ધનબાદના આશીર્વાદ ટાવરમાં સર્જાઈ છે. આગ ત્રીજા માળેથી શરૂ થઈ અને થોડી જ વારમાં બિલ્ડીંગમાં ફેલાઈ હતી. મળતી વિગતો અનુસાર, મૃતકોમાં 10 મહિલાઓ ત્રણ બાળકો અને એક વૃદ્ધ છે.
વિગતો અનુસાર, ધનબાદના આશીર્વાદ ટ્વીન ટાવરના ત્રીજા માળે મંગળવારે સાંજે 6.30 કલાકે આગ લાગી હતી. આ આગ ગેસ સિલિન્ડરના વિસ્ફોટના કારણે લાગી હતી. આગ ત્રીજા માળેથી શરૂ થઈ અને થોડી જ વારમાં ઝડપથી ફેલાઈને અને 5માં માળ સુધી પહોંચી. ફાયર બ્રિગેડે લગભગ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.
આગ લાગ્યા બાદ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને કામગીરી શરૂ કરાઈ હતી. આ દરમિયાન લોકો ટેરેસ પર જઈને પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતા જોવા મળ્યા હતા.
ઘટના બાદ ઝારખંડના સીએમ હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, હું પોતે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છું. ધનબાદના આશીર્વાદ ટાવર એપાર્ટમેન્ટમાં લાગેલી આગને કારણે લોકોના મોતની ઘટના દુખદ છે. જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અપાઈ રહી છે.