નવી દિલ્હી, 16 મે : લોકસભા ચૂંટણી 2014ના ચૂંટણી પરિણામો બહાર આવી રહ્યા છે. ભાજપ અત્યાર સુધીમાં 14 બેઠકો પર વિજય મેળવી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી અને 0 બેઠક પર જ છે.
ભાજપ તરફી પરિણામોને પગલે નરેન્દ્ર મોદી 21 મે, 2014ના રોજ વડાપ્રધાન પદ માટેના શપથ લઇ શકે છે. ચૂંટણી પરિણામોનો ટ્રેન્ડ જોઇને ભાજપના અગ્રણી નેતાઓએ હવે આગામી આયોજનો અંગે ચર્ચા વિચારણા શરૂ કરી છે.
કહેવામાં આવે છે કે શનિવારે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક મળશે જેમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ અંગે નરેન્દ્ર મોદી પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહની સાથે બેઠક યોજી ચૂક્યા છે. મોદીએ તેમને સરકાર બનાવવા અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે વરિષ્ઠ નેતાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2014 પૂર્ણ રીતે જાહેર થયા બાદ ભાજપ, અન્નાદ્રમુક અને બીજેડીની સાથે વાતચીતના દ્વાર ખોલી શકે છે. સીમાંધ્રમાં ભાજપ જગન રેડ્ડી સાથે જોડાણ કરી શકે છે. જ્યારે તેલંગાણામાં તેઓ ટીઆરએસથી સમજુતી કરી શકે છે. જો કે આ બાબત પાર્ટીની સ્થિતિ પર નિર્ભર રહેશે.
નરેન્દ્ર મોદી વારાણસીમાં જીત મેળવ્યા બાદ ગંગા આરતીમાં ભાગ લેશે અને પૂજન પણ કરશે. ત્યાંના લોકોને તેઓ ધન્યવાદ પણ આપશે. આ ઉપરાંત તેઓ વડોદરા પણ જશે. તેઓ 17મેથી 21 મે સુધી રાજધાનીમાં રહેશે. જો પાર્ટીને પૂર્ણ બહુમત મળશે તો તેઓ 21 મેના રોજ શપથ લેશે.