2G કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયા
2જી કૌભાંડ મામલે આજે સીબીઆઇની વિશેષ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે શું છે આ કેસ તે અંગે વિગતવાર જાણો અહીં.
દેશના અનેક મોટા કૌભાંડમાંથી એક તેવા 2જી સ્પૈક્ટ્રમ ફાળવણી કૌભાંડ મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે ગુરુવારે પૂર્વ દૂરસંચાર મંત્રી એ રાજા, દ્રમુક સાંસદ કનિમોઝી અને અન્ય અનેક પર મહત્વનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે આ કેસના 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારના સમયે થયેલ 1.76 લાખ કરોડના આ કૌભાંડમાં વિશેષ સીબીઆઇ ન્યાયધીશ ઓ પી સૈની સીબીઆઇ અને ઇડી દ્વારા દાખલ અલગ અલગ કેસ મામલે આજે ચુકાદો આપ્યો હતો. 2 જી સ્પેક્ટ્રમ કૌભાંડની સુનવણી 6 વર્ષ પહેલા 2011માં શરૂ થઇ હતી. અને કોર્ટે 17 આરોપીઓની વિરુદ્ધ કોર્ટમાં આરોપ નક્કી કર્યા હતા. વર્ષ 2010માં સીએજીની એક રિપોર્ટ મુજબ 2008માં ફાળવવામાં આવેલા સ્પેક્ટ્રમ પર સવાલ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્પેક્ટ્રમની નીલામી નથી કરવામાં આવી. પણ તેને પહેલા તે વહેલા ધોરણે આપવામાં આવ્યા છે. સરકારને આમ કરવાથી 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાની ખોટ થઇ છે. જેમાં કનિમોઝી પર પોતાની ટીવી ચેનલ માટે 200 કરોડ રૂપિયાની લાંચ ડીબી રિયલટીના માલિક શાહિદ બલવાથી લીધી અને તેના બદલે તેમની કંપનીએ એ.રાજાને ખોટી રીતે સ્પેક્ટ્રમ અપાવ્યું. વધુમાં ડી રાજા અને આર કે ચંદોલિયા પર પણ મોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ડી રાજા પર નિયમોને ભંગ કરી 2જી સ્પેક્ટ્રમની નીલામી ષડયંત્ર પૂર્વક કરવા અને ખોટી રીતે તેની ફાળવણી કરવાનો આરોપ છે. ત્યારે આજે આ કેસમાં કોર્ટે તમામ 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.