સુરક્ષા જવાનોએ બે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા ચાર આતંકીઓ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આઈઈડી બનાવવામાં નિષ્ણાત આતંકવાદી પણ શામેલ છે.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આઈઈડી બનાવવામાં નિષ્ણાત આતંકવાદી પણ શામેલ છે. આ આતંકવાદીઓને શનિવારના રોજ દક્ષિણ કાશ્મીરમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ ઠાર માર્યા હતા.
માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈઇબાના સભ્યો તરીકે થઈ છે, જ્યારે બે આતંકવાદીઓ અંસાર ગજવાતુલ હિંદ સાથે સંકળાયેલા છે. પોલીસ જનરલ વિજય કુમારે જણાવ્યું કે, પહેલું એન્કાઉન્ટર શોપિયાના ચોગમ વિસ્તારમાં થયું હતું. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં 44મી નેશનલ રાઈફલ્સ અને CRPFની 14મી બટાલિયનના જવાનો શામેલ હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ સજ્જાદ અહમદ ચક, રાજા બાસિત યાકુબ તરીકે થઈ છે. આ બંને આતંકીઓ લશ્કર એ તૌઇબાના હતા, જેમણે ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. સજ્જાદ ઘાટીના યુવાનોને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પણ પ્રેરિત કરતો હતો.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે શ્રેણીની રાઈફલ, ચાર એકે મેગેઝીન, કારતૂસના 32 રાઉન્ડ વગેરે મળી આવ્યા છે. નદીમ નઝીર ભટ અને રાહુ રસૂલ ભટ્ટ ઉર્ફે આદિલ પુલવામાના ત્રાલમાં સુરક્ષાકર્મીઓ દ્વારા માર્યા ગયેલા બે આતંકવાદીઓ છે.