આ 5 કારણોથી કારગિલ યુદ્ધ બાદ નર્કમાંથી બન્યું સ્વર્ગ દ્રાસ
દ્રાસથી વનઇન્ડિયા રિપોર્ટર રિચા બાજપેયીનો વિશેષ અહેવાલ
દ્રાસ, 23 જુલાઇ : વાત 15 વર્ષ પહેલાના સમયગાળાની છે. 3 મે, 1999ના રોજ સરહદ પર રહેતા એક ભરવાડે ભારતીય સેનાને સમાચાર આપ્યા કે કેટલાક અજાણ્યા લોકો આપણી સીમામાં દાખલ થયા છે. ભરવાડે આપેલી માહિતી પર તરત જ કાર્યવાહી કરતા ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ તેજ બનાવી દીધું. પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પાકિસ્તાનના સૈનિકો એલઓસી (લાઇન ઓફ કન્ટ્રોલ) ઓળંગીને ભારતમાં દાખલ થઇ ગયા છે. બસ, પછી તો જોત જોતામાં યુદ્ધનું રણશિંગુ ફૂંકાઇ ગયું.
તે અરસામાં પહાડોની શાંતિમાં 5 ભારતીય સૈનિકોની હત્યા કરવામાં આવી. સાંત દિવસ બાદ જાણવા મળ્યું કે પાકિસ્તાનની સેના માત્ર એલઓસી નહીં પરંતુ દ્રાસ, મુશકોહ અને કકસરમાં પણ ઘૂસી ગઇ છે. પાકિસ્તાની સેનાની ધૂસણખોરીની ભાળ મેળવવામાં વિલંબ થયો કારણ કે વીરાન અને બર્ફીલા પહાડો પર કોઇની આવન-જાવન ન હતી. બસ, અહીં કેટલાક નાનકડા ગામો હતા જે ગમે તેમ કરીને જીવન પસાર કરી રહ્યા હતા.
આજે એ જ દ્રાસની તસવીર સંપૂર્ણ રીતે બદલાઇ ચૂકી છે. દ્રાસમાં આજે નેશનલ હાઇવે નંબર 1 છે. જેના પર આપ શાનદાર કુદરતી દ્રશ્યો જોતા જોતા મુસાફરી કરી શકો છો. 15 વર્ષ પહેલા જે ગામમાં ટેલિફોન સુધ્ધાં ન હતો ત્યાં આજે મોબાઇલ ટાવર કનેક્ટિવિટી ઉપરાંત ડીટીએચ સેવાથી ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સેવા સુધીની આધુનિક સેવાઓ ઉપલબ્ધ બની છે.

પર્યટનને પ્રોત્સાહન
દર્દનાક કારગિલ યુદ્ધ બાદ બરબાદ થયેલા દ્રાસને બેઠું કરવા માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. અહીં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવવામાં આવી છે. જેથી પર્યટકોની સંખ્યા વધે અને તેમને કોઇ તકલીફ ના નડે.
(તસવીરમાં દ્રાસનો નકશો)

કોલેજ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ થયું ત્યારે દ્રાસમાં બે-ચાર માધ્યમિક શાળાઓ જ હતી. આગળ અભ્યાસ કરવો હોય તો દ્રાસની બહાર જવું પડતું હતું. હવે સરકારે વિવિધ યોજનાઓ અંતર્ગત અહીં કોલેજ સુધીનું શિક્ષણ પુરું પાડવા ઉપરાંત સારી હોસ્પિટલ પણ બનાવી છે.
(તસવીરમાં - મે-જૂન 1999માં કારગિલ યુદ્ધમાં ગન હિલ પર વિજય મેળવ્યા બાદ ભારતીય ત્રિરંગો લહેરાવતા ભારતીય લશ્કરના જવાનો)

વિકાસની લહેરમાં મોજીલું બન્યું દ્રાસ
દ્રાસમાં સાયબર કાફે ચલાવનારા ઝાકિરનું કહેવું છે કે વર્ષ 1999માં કારગિલ યુદ્ધ સમયે અહીં લોકો એકલવાયું અને પોતાને દેશના અન્ય વિસ્તારોથી અલગ હોવાનું અનુભવતા હતા. હવે વિકાસની લહેર અહીં પણ પહોંચી છે. જેના કારણે લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. તેમને જીવનમાં કંઇક કરી બતાવવાની ચાહના ઉભી થઇ છે.

રોજગારીની તકો વધી
કારગિલ યુદ્ધ બાદ દ્રાસમાં કરવામાં આવેલા વિકાસ બાદ અહીં રોજગારીની તકોમાં વધારો થયો છે. દ્રાસમાં કિરાણા સ્ટોર ચલાવનારા શફીક અહેમદ કહે છે કે દ્રાસમાં પર્યટન પ્રવૃત્તિને વેગ આપવાને કારણે રોજગારીની તકો વધી છે. દ્રાસને લદ્દાખનો ગેટ-વે કહેવામાં આવે છે. તેથી પર્યટકોની અવર-જવર વધી છે.

15 વર્ષ પહેલા નર્ક હતું દ્રાસ
અહીંથી સ્થાનિક ભાષામાં લોકો બાલ્ટિક દ્રાસ કહે છે. જેનો અર્થ થાય છે નરક કે નર્ક. આ અંગે શફીક અહેમદે જણાવ્યું કે જો આપ 15 વર્ષ પહેલા અહીં આવ્યા હોત તો કદાચ અહીંની સ્થિતને જોઇને આ વિસ્તારને નર્ક કહેત. જમ્મુ-કાશ્મીર સરકારે જે રીતે તેનો વિકાસ કર્યો છે તે જોતા આપ તેને હવે નર્ક નહીં કહો. સરકાર આ વિસ્તારને મોટા પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવે તો સ્થાનિક લોકોને વધારે સારું લાગશે.












Click it and Unblock the Notifications
