આ છે અખિલેશની સરકાર, 306 દિવસમાં 632 બળાત્કાર
લખનઉ, 12 માર્ચઃ એક વર્ષ પહેલા લોકો કહી રહ્યા હતા કે માયાવતીના રાજમાં બળાત્કારની વારદાતો વધી રહી છે. સત્તા બદલાઇ, સીએમ બદલાયા, પરંતુ બળાત્કારની વારદાતોમાં કોઇ જ ઘટાડો થયો નથી. સપાના રાજમાં છેલ્લા 306 દિવસોમાં ઉત્તર પ્રદેશમાં અત્યારસુધી 632 બળાત્કારો થયા છે. આ એ મામલાઓ છે નોંધાયા છે અને હજુ એવા ઘણા કેસો હશે જે પોલીસના રેકોર્ડ સુધી પહોંચી શક્યા નથી.
અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની સરકાર બન્યા પછી કાયદાનું રાજ કેટલું સ્થાપિત થઇ શક્યું છે તેનો ઉત્તર સ્વયં સરકારે જ વિધાનસભામાં આપવામાં આવેલા પોતાના એક જવાબમાં સ્પષ્ટ કરી દીધો છે. પ્રદેશ સરકારે સ્વિકાર કર્યો છે કે દશ મહિનાના કાર્યકાળ દરમિયાન એટલે કે 306 દિવસોમાં રાજ્યમાં બાળ યૌન શોષણ, દુરાચારની 632 ઘટનાઓ થઇ છે.
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન બસપના સભ્ય સુનીલ કુમાર સિંહ યાદવ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી તરફથી ઉત્તર આપતા સંસદીય કાર્ય મંત્રી મો. આઝમ ખાને જણાવ્યું કે પ્રદેશમાં એપ્રિલ 2012થી જાન્યુઆરી 2013 સુધી બાળ યૌન શોષણ અને દુરાચારની 632 ઘટનાઓ થઇ. સાથે જ આઝમ ખાને આવા અપરાધોને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ઉઠાવેલા પગલાઓ પણ ગણાવ્યા.
તેમણે કહ્યું કે, 14 નવેમ્બર 2012એ આખા દેશમાં લેંગિક અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ-2012 લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો ઉમર 18થી ઘટાડીને 16 વર્ષની થઇ જશે તો આશા છે કે કેટલાક અપરાઘો અટકી જશે. તેમણે કહ્યું કે એ વાતની જરૂરિયાત છે કે યોગ્ય સમયે ન્યાય મળે. આવા મામલાઓ માટે સ્પેશિયલ કોર્ટ હોય અને તેમાં એક અઠવાડિયાની અંદર પીડિતાને ન્યાય મળે તથા ગુન્હેગારને કડક સજા મળે. જો એવું થયું તો આવા મામલાઓમાં ઘટાડો થશે. આ મુદ્દે ભાજપના અજય મિશ્ર ટેની, સતિશ મહાના, કોંગ્રેસના અખિલેશ સિંહ અને બસપાના નીરજ મોર્યએ પણ સરકારો સામે પ્રશ્નો કર્યા.
નિંધાસનમાં પૂર્વવર્તી સરકાર દરમિયાન થયેલી દુરાચારની એક ઘટના અંગે સંસદીય કાર્યમંત્રી આઝમ ખાને કટાક્ષ કર્યો કે લોકો સીબીઆઇ તપાસની માંગ પણ કરે છે અને તેના પર વિશ્વાસ પણ નથી કરતા. તેમણે કહ્યું કે જો નિંઘાસન મામલાની તપાસ અંગે સરકાર તરફથી સીબીઆઇને કોઇ પત્ર મોકલી શકાય છે તો તેને અવશ્ય મોકલવામાં આવશે. ખાને એમ પણ કહ્યું કે કેવા પ્રકારના લોકો પોલીસ અને પ્રશાસનિક સેવામાં હોય, તે વિષય પર પણ વિચાર કરવો પડશે. તેમણે કહ્યું કે, જો કોઇ રાજ્યમાં દુરાચારિઓની ડેટા બેન્ક બનાવાયી હશે તો ઉપ્ર સરકાર પણ તેના પર વિચાર કરશે.