કર્ણાટકમાં શાંતિપૂર્ણ રીતે 69 ટકા મતદાન સંપન્ન
નવી દિલ્હી, 6 મે: કર્ણાટકમાં આગામી સરકાર કોની બનશે તે અંગેનો નિર્ણય ઇવીએમ મશીનમાં બંધ થઇ ગયો છે. રવિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન કુલ મળીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. રાજ્યમાં લગભગ 4.36 કરોડ મતદારોમાંથી 69 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. મતદાનની શરૂઆતમાં તેજી રહી હતી પરંતુ જેમ-જેમ દિવસ ચઢતો ગયો તેમ-તેમ ગરમી વધતી ગઇ અને બપોર બાદ મતદાનમાં ઘટાડો થયો પરંતુ અંતે સાંજના સમયે ફરી એકવાર તેજી આવી. રાજ્યની 224માંથી 223 સીટો માટે મતદાન થયું. જેથી કુલ 2940 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. મૈસૂર જિલ્લાના પેરિયાપટના સીટ પર ભાજપના ઉમેદવારનું મોત નિપજતાં મતદાન સ્થગતિ કરવામાં આવ્યું છે. હવે અહીં મતદાન 28 મેના રોજ થશે.
સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી ટી શમૈયાહએ કહ્યું હતું કે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. અમને ચૂંટણીમાં કોઇ ગોટાળાના સમાચાર પ્રાપ્ત થયા નથી. તેમને કહ્યું હતું કે પાંચ વાગ્યા સુધી 60.68 ટકા મતદાન થયું હતું. ચૂંટણી આયોગે અધિકારીઓને જણાવ્યું હતું કે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે લગભગ 69 ટકા મતદારોએ વોટીંગ કર્યું હતું. મતદાન ગણતરી આઠ મેના રોજ યોજાશે.
મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર, વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધરમૈયા, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી, પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી એસ યેદિયુરપ્પા અને જેડીએસ પ્રદેશ એકમના અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ મતદાન કર્યું હતું.