અફઝલ કેસથી SC નારાજ, 8ની ફાંસી પર મુલતવીનો આદેશ
સુપ્રિમ કોર્ટે જે 8 દોષિયોની ફાંસી પર રોક લગાવી છે, તેમની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ફગાવી નાખી હતી. આ મામલાની સુનવણી શનિવારે સાંજે જજના રહેઠાણ સ્થળે કરવામાં આવી. ફાંસીને હાલમાં 4 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે ફાંસી બાદ અફઝલના પરિવારને આ અંગે જણાવવામાં આવ્યું. કોર્ટે જણાવ્યું કે એ ખોટું હતું. એવી ભૂલ ફરી ના થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે સંસદ પર હુમલાના મામલામાં દોષી અફઝલ ગુરુને ગુપ્તરીતે તિહાડ જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. તેમજ તેને તિહાડ જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. અફજલના પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને ફાંસી અંગે કોઇ જાણકારી અપાઇ ન્હોતી.
બીજી બાજું કેન્દ્ર સરકારે અફજલના પરિવારને ખોટો પાડતા જણાવ્યું હતું કે તેમને ફાંસી અંગે સ્પીડ પોસ્ટ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અફજલને ફાંસીના બે દિવસ બાદ આ સ્પિડ પોસ્ટ તેના ઘરે પહોંચી હતી.