ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, હરભજન સહિત 25 હજાર યાત્રીઓ ફસાયા
દહેરાદૂન, 17 જૂન: ઉત્તરાખંડમાં ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી છે. ગઢવાલ વિસ્તારમાં રવિવારે સવારથી જ મેઘો તૂટી પડ્યો હતો. કેદારનાથના રામબાડામાં વાદળ ફાટતાં લગભગ 50 લોકો ગુમ થઇ ગયા છે. 5 લોકોના શબ મળી આવ્યાં છે. તો બીજી તરફ મસૂરી પાસે ઘનૌલ્ટીમાં વાદળ ફાટવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
ચારધામ યાત્રાના રસ્તા બંધ થતાં ઉત્તરકાશી અને ચમોલીમાં લગભગ 25 હજાર યાત્રીઓ ફસાઇ ગયા છે. રાહત અને બચાવ કાર્યો માટે સેના બોલાવવી પડી છે. પરિવાર સાથે હેમકુંડ સાહિબ યાત્રા પર ઉત્તરાખંડ ગયેલા ક્રિકેટર હરભજન સિંહ પણ જેશીમઠમાં ફસાઇ ગયા છે. તો બીજી તરફ પ્રેમનગર વિસ્તારમાં એક ઘર ઢળી પડતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.
ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં નદી-નાળા ઉભરાવવાની તૈયારીમાં છે. ઉત્તરાકાશીમાં કેટલાક મકાનો પાણીમાં વહી ગયા હોવાના સમાચાર છે. જાન-માલને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સમાચાર પ્રાપ્ત થયા નથી. રાહત અને બચાવ કાર્યોને ઝડપી બનાવવા માટે સેનાને બોલાવવામાં આવી છે.
સતત વરસાતા વરસાદના કારણે આઠ લોકોના મોત નિપજ્યાં છે તો બીજી તરફ ઉત્તરાકાશી, ચમોલીમાં ભૂસ્ખલન, પૂરના કારણે રસ્તાઓ તથા પુલ ધ્વસ્ત થઇ ગયા છે. ચારધામ યાત્રા અસ્થાઇ રૂપથી રોકી દેવામાં આવી છે. દેહરાદૂનના પ્રેમનગર પોલીસના વિકાસ રાવતે જણાવ્યું હતું કે ન્યૂ મીઠી બેરી વિસ્તારમાં એક મકાન ઢળી પડતાં એક જ પરિવાર 3 લોકોના મોત નિપજ્યાં છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી મીરા કેંથુરાએ જણાવ્યું હતું કે રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલનમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે છ લોકોને ઇજા પહોંચી છે. મીરાએ જણાવ્યું હતું કે મંકાકિની તથા અલકનંદા અને ગંગાની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રૂદ્રપ્રયાગ તથા ગૌરીકુંડને જોડનાર પુલને પણ નુકસાન પહોંચ્યું છે. પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપથી અટકાવી દેવામાં આવી છે. કહેવામાં આવે છે કે ઉત્તરકાશી-ચમોલીમાં લગભગ 25 હજાર યાત્રીઓ હજુપણ રસ્તામાં ફસાયેલા છે.
ગંગોત્રી તથા યમુનોત્રી જનાર હજારો શ્રદ્ધાળુ ફસાઇ ગયા છે કારણ કે પીપલમંડી, બરાકી તથા નાલુપાનીમાં ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરકાશી જિલ્લાની હોટલો અને ધર્મશાળાઓમાં લોકોની ભારે ભીડ છે. ચારધામના યાત્રી ત્યાં રોકાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા પુનર્વાસ મંત્રી યશપાલ આર્યએ જણાવ્યું હતું કે વહિવટી તંત્ર આ પરિસ્થિતીનો સામનો કરવા માટે તૈયાર છે. હેમકુંડ સાહિબની યાત્રા પર ગયેલા હરભજન સિંહ પણ જોશીમઠમાં ફસાયેલા છે. તે સુરક્ષિત છે અને આઇટીબીપી કેંપમાં રોકાયા છે.












Click it and Unblock the Notifications
