મોદીના વખાણ કરતા ફસાયા રામદેવ, 81 નવા કેસ દાખલ
દેહરાદૂન, 21 નવેમ્બર: હાલમાં નરેન્દ્ર મોદીનું સમર્થન કરી રહેલા બાબા રામદેવના ટ્રસ્ટ પતંજલિ યોગપીઠ પર હરિદ્વારની ડીએમએ જમીન હડપવાનો, સ્ટેમ્પ ચોરી સહીત 81 જેટલા કેસ નોંધાવ્યા છે. આ સંબંધમાં મુખ્યમંત્રી વિજય બહુગુણાએ બોલાવેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં જાણકારી આપતા ટ્રસ્ટ પર જમીનદારી વિનાશ કાનૂનનો ભંગ, બેનામી સંપતિ અને જમીન પચાવી પાડવાના કેસ ફાઇલ કરવામાં આવ્યા છે.
બહુગુણા અનુસાર રામદેવના ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીનમાં 154(4)(3)બી/166/167 જેડએએલઆર એક્ટ (જમીનદારી વિનાશ અને ભૂમિ વ્યવસ્થા કાનૂન), 122 જેડએએલઆર એક્ટની અણદેખી કરીને જમીન પચાવવાના મામલા તપાસમાં આવ્યા છે. મુખ્યમંત્રી અનુસાર હરિદ્વારના સાંતર શાહ અને ઓરંગાબાદના ગામોમાં 7.766 એકર જમીન ખોટી રીતે પચાવવામાં આવી છે. ટ્રસ્ટ પર આરોપ છે કે જે લોકોના નામ પર જમીન લેવામાં આવી છે, તેમનું કોઇ ઠામ-ઠેકાણું નથી.
મુખ્યમંત્રી અનુસાર મુસ્તફાબાદ ગામમાં પણ ટ્રસ્ટે 141.71 એકર જમીન આયુર્વેદિક મેડિસિન અને રિસર્ચ માટે ખરીદવા માટે તંત્ર પાસે પરવાનગી લેવાઇ હતી, પરંતુ હવે તેનો ઉપયોગ પતંજલિના ઉત્પાદનોની મેન્યૂફેક્ચરિંગ, પ્રોડક્શન, વેયર હાઉસિંગ અને માર્કેટિંગ માટે કરવામાં આવી રહ્યો છે. રામદેવના ટ્રસ્ટની સામે કેસ નોંધીને તંત્રએ તેમની પર શકંજો કસી દીધો છે. હજી સુધી ટ્રસ્ટ સાથે જોડાયેલ કોઇ વ્યક્તિએ આ સંબંધમાં કંઇ ટિપ્પણી કરી નથી.