કેમિકલના ડ્રમ ધરાવતા ઘરમાં લાગી આગ, 4ના મોત
રાજસ્થાનમાં જામવરમગઢમાં રવિવારની સવારે અનેક કેમિકલના ડ્રમ સાથેનું એક નાનકડું મકાન આગની લપેટમાં આવી જતાં ત્રણ બાળકો સહિત ચારનાં મોત થયાં હતાં.
જયપુર : રાજસ્થાનમાં જામવરમગઢમાં રવિવારની સવારે અનેક કેમિકલના ડ્રમ સાથેનું એક નાનકડું મકાન આગની લપેટમાં આવી જતાં ત્રણ બાળકો સહિત ચારનાં મોત થયાં હતાં. ડેપ્યુટી એસપી (જામવારમગઢ), શિવ કુમાર ભારદ્વાજના જણાવ્યા અનુસાર, પીડિતોની ઓળખ રમેશ (25), ગરિમા (3), અંકુશ (5) અને દિવ્યા (2) તરીકે કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, અન્ય ત્રણ લોકો દાઝી જવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, પીડિતો એક જ પરિવારના સભ્યો હતા. ભારદ્વાજના જણાવ્યા અનુસાર, નાના ઘરનો ઉપયોગ ટર્પેન્ટાઇન તેલને નાના પેકેટમાં પેક કરવા માટે કરવામાં આવતો હતો.
જયપુર જિલ્લા કલેક્ટર, રાજન વિશાલે કહ્યું કે, વહીવટી તંત્રનું ધ્યાન હાલમાં ઘાયલોની સારવાર પર છે. જામવરામગઢના સ્થાનિક રહેવાસી અને નેતા મહેન્દ્ર પાલ મીનાએ જણાવ્યું કે, આ ઘટના વહેલી સવારે બની જ્યારે બાળકો બિલ્ડિંગની અંદર હાજર હતા. અમે અપેક્ષા રાખીએ છીએ કે પીડિતોને થોડું વળતર આપવામાં આવશે.
ફાયર વિભાગ અને સિવિલ ડિફેન્સ સ્ટાફે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને દાઝી ગયેલા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન, જયપુર (ગ્રામ્ય) પોલીસે જણાવ્યું હતું કે, કેમિકલ યુનિટ કોણ ચલાવતું હતું અને તેમની પાસે જરૂરી પરવાનગી હતી કે, નહીં તે અંગે જાણવાના પ્રયાસો ચાલુ છે.