લોકસભાની સીટો વધારવા વિશેષ સત્ર બોલાવાઈ રહ્યું છે? જાણો શું છે હકિકત?
દેશમાં ઈન્ડિયા ગઠબંધનથી ડરી ગયેલી નરેન્દ્ર મોદી સરકાર હવે કોઈપણ રીતે સત્તા બચાવવા માટે મેદાને પડી છે. આ ક્રમમાં દેશની વિપક્ષી પાર્ટીઓને વિશ્વાસમાં લીધા વગર જ સંસદનું વિશેષ સત્ર બોલાવાયુ છે. અટકળો લાગી રહી છે કે મોદી સરકાર લોકસભા સીટોનો વિસ્તાર કરી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષી પાર્ટીઓને જાણ કર્યા વગર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રને લઈને અટકળો તેજ થઈ છે. આશંકા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી એકતાથી ભયભીત થઈને કોઈ એવુ પગલુ ભરવા જઈ રહી છે, જેનાથી બીજેપીને ફાયદો થાય.

સંસદના વિશેષ સત્રને લઈને માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે. એક અટકળ છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર દેશમાં લોકસભા સીટોની સંખ્યા વધારવા અને સીમાંકન અંગે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
દેશમાં નવા સીમાંકન માટે 2026 પહેલાથી નક્કી છે પરંતુ પરંતુ વિપક્ષી પાર્ટીઓમાં ધારણા છે કે સત્તા બચાવવા માટે મોદી સરકાર કોઈપણ પગલા ભરી શકે છે. આ વર્ષે મે મહિનામાં તેલંગાણાના મંત્રી અને રાજ્યના સીએમ કે ચંદ્રશેખર રાવના પુત્ર કેટી રામા રાવે આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું કે જો વસ્તીને તેનો આધાર બનાવવામાં આવશે તો તે દક્ષિણ ભારતીય રાજ્યો માટે ઘોર અન્યાય હશે. તેમણે જીડીપીમાં ઉત્તર ભારતીય રાજ્યોના ઓછા યોગદાન તરફ ઈશારો કર્યો હતો.
જણાવી દઈએ કે, સંસદનું આગામી સત્ર નવા સંસદ ભવનમાં યોજાવા જઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ 28 મેના રોજ કર્યું હતું. લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેટલી જગ્યા છે. જ્યારે રાજ્યસભા પણ 384 સાંસદો બેસી શકે છે. આ વ્યવસ્થા ભવિષ્યના સીમાંકનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આગળ જતા સંસદીય બેઠકોની સંખ્યામાં વધારો નિશ્ચિત છે.
બંધારણના 84મા સુધારા મુજબ 2026 પછી યોજાનારી પ્રથમ વસ્તી ગણતરી સુધી એટલે કે ઓછામાં ઓછા 2031 સુધી સંસદીય બેઠકોની સંખ્યા સ્થિર રાખવામાં આવી છે. હવે લોકસભાની બેઠકો નક્કી કરવાનો આધાર 1971ની વસ્તી ગણતરી છે. હાલ લોકસભાની સીટોની સંખ્યા 543 સુધી મર્યાદિત છે. આ સિવાય નામાંકિત સભ્યો માટે બે બેઠકો રાખવામાં આવી છે.
અહેવાલો અનુસાર, જો વસ્તીના આધારે સીમાંકન કરાય તો બીજેપીને ફાયદો થઈ શકે છે. એકલા યુપી-બિહારમાં લોકસભાની બેઠકો 222 થઈ જશે, જે હાલમાં માત્ર 120 છે. જ્યારે દક્ષિણ ભારતના છ રાજ્યો કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી સહિતની સંખ્યા 165 થઈ શકે છે. બીજી તરફ દેશમાં અન્ય રાજ્યોમાં આ બેઠકો વધીને 461 થઈ શકે છે.












Click it and Unblock the Notifications
