નોટબંધીથી ત્રસ્ત પિતાનું મોત, 2 દીકરીઓની ડોલીની જગ્યાએ ઉઠી પિતાની અર્થી
મોટા દીકરા દિનદયાળે જણાવ્યુ કે પિતાજી કહેતા રહેતા હતા કે લગ્નનું કામ બગડી રહ્યુ છે. મા પણ આખી રાત સૂઇ શકતી નહોતી...
500 અને 1000 ની જૂની નોટ બંધ થવાના નિર્ણય બાદ જ્યાં આમ જનતાની તકલીફો વધી રહી છે ત્યાં આ નિર્ણય બાદ દેશભરમાં મૃતકોની સંખ્યા પણ વધી રહી છે.
રાજસ્થાનના સીકરમાં પોતાની બે દીકરીઓના લગ્ન માટે રુપિયાની વ્યવસ્થાને લઇને હેરાન રહેતા એક ચા વાળાનું બુધવારે હાર્ટ એટેકને કારણે મોત થઇ ગયુ. પરિવારના જણાવ્યા મુજબ સીકરના જગમાલપુરામાં ભાડેથી ચા ની દુકાન ચલાવતા 62 વર્ષના જગદીશ પંવારની બે દીકરીઓના લગ્ન આગામી 3 ડિસેમ્બરે થવાના છે. જગદીશના દીકરા રાજેન્દ્રએ જણાવ્યુ કે નોટબંધીના નિર્ણય બાદ તેના પિતા પોતાની બે દીકરીઓ સુનીતા અને કિરણના લગ્ન માટે ખૂબ ચિંતિત રહેતા હતા. તેમની પાસે 500 અને 1000 ની જૂની નોટોમાં 45 હજાર રુપિયા હતા.
જમ્યા બાદ તરત જ બગડવા લાગી હાલત
આ રુપિયાને બેંકમાં જમા કરાવવા અને નવી નોટ ઉપાડવા માટે જગદીશ દુકાન બંધ કરીને બેંકના ચક્કર લગાવત રહેતા હતા. બુધવારે જગદીશ સવારે 9 વાગે ઘરેથી દુકાન જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ બપોરે તેઓ જમવા માટે ઘરે આવ્યા હતા. રાજેન્દ્રએ જણાવ્યુ કે જમ્યા બાદ અચાનક જ તેમના પિતાની હાલત બગડવા લાગી. પરિવરજનો તરત જ જગદીશને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. રાજેન્દ્રએ જણાવ્યુ કે તેના પિતા 500 અને 1000 ની જૂની નોટ બંધ થવાને કારણે પરેશાન હતા. દીકરીઓના લગ્ન માટે મિઠાઇવાળા, મંડપવાળા વગેરેને રુપિયા આપવાના હતા પરંતુ તેમની પાસે બધી જૂની નોટો હતી.
જિલ્લા કલેક્ટરે આરબીઆઇને લખી ચિઠ્ઠી
મોટા દીકરા દીનદયાળે જણાવ્યુ કે પિતાજી કહેતા રહેતા હતા કે લગ્નનું કામ બગડી રહ્યુ છે. તેમની મા પણ આખી આખી રાત સૂઇ શકતી નહોતી. આ બધા કારણોથી તેઓ ખૂબ જ પરેશાન હતા. જગદીશની મોતનો મામલો સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર કુંજ બિહારી ગુપ્તાએ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાને ચિઠ્ઠી લખીને બેંકોમાં કેશની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યુ કે બેંકો તરફથી પણ ફરિયાદ મળી છે કે છેલ્લા બે દિવસથી આરબીઆઇ પાસેથી બિલકુલ કેશ મળી નથી. તેમણે પણ આ અંગે આરબીઆઇને ચિઠ્ઠી લખી છે.