કલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત નથીઃ SC
આધાર કાર્ડ ફરજિયાત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી કરતાં કહ્યું કે, સરકાર પોતાની કોઇ પણ કલ્યાણકારી યોજના માટે આધાર કાર્ડ ફરજિયાત ન બનાવી શકે.
કેન્દ્ર સરકાર તરફથી અવાર-નવાર જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત હોવાની જાહેરાતો થઇ રહી છે. હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠરાવ્યો છે. આધાર કાર્ડ ફરજિયાત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જે અંગે સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર પોતાની કોઇ પણ કલ્યાણકારી યોજનાનો લાભ આપવા માટે આધાર કાર્ડને ફરજિયાત ન બનાવી શકે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, બેંક ખાતા ખોલવા જેવી યોજનાઓમાં આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરતા સરકારને રોકી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બિન-લાભકારક યોજનાઓ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય. ઇન્કમ ટેક્સ એક બિન-લાભકારક યોજના છે, જેમાં સરકારને આધાર કાર્ડ ફરજિયાત કરતા રોકી ન શકાય.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર ઘણી કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી ચૂકી છે. સરકારી શાળાઓમાં મિડ ડે મીલ માટે પણ આધાર કાર્ડ અનિવાર્ય હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે પછીથી આ નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો.
અહીં વાંચો - રાજ્ય સરકારે શહીદની મદદ ન કરતાં આખરે કેન્દ્રએ ઝાલ્યો હાથ
આ સિવાય પછાત વર્ગ અને વિકલાંગોને સ્કોલરશિપ આપવા માટે, એલપીજી અને ખાદ્ય પદાર્થો પર સબસિડી આપવા તથા ઉજ્જવલા યોજનાનો લાભ લેવા જેવી યોજનાઓ માટે સરકારે આધાર કાર્ડ ફરજિયાત હોવાની જાહેરાત કરી હતી. સરકાર તરફથી લગભગ તમામ કલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.