નવી દિલ્હી, 29 એપ્રિલ : 'આપ' એટલે કે આમ આદમી પાર્ટીની 'ખાસ'નીતિઓને પગલે પાર્ટીના ખાસ લોકો એક એક કરીને આપનો સાથ છોડી રહ્યા છે. 'આપ' ના એક વધુ સ્થાપક સભ્યએ પાર્ટીમાંથી કિનારો કરી લીધો છે. 'આપ'ના મકસૂદ ઉલ હસન કાઝમીએ પાર્ટી છોડી દીધી છે. પાર્ટી છોડતા સમયે તેમણે પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
તેમણે જણાવ્યું કે કેજરીવાલ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ઇશારે જ મુકેશ અંબાણીને બદનામ કરી રહ્યા છે. ફિલ્મ નિર્દેશક અશોક પંડિતે પણ કેજરીવાલ પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે. કાઝમી આપના ત્રીજા સંસ્થાપક સભ્ય છે જેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.
ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલના અધ્યક્ષ મકસૂદ ઉસ હસન કાઝમીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને આપના સંયોજક પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પાર્ટીની રચના થઇ રહી હતી, ત્યારથી જ તેઓ આ સાથે સંકળાયેલા છે. પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ સમયે તેમને અહેસાસ થઇ ગયો કે પ્રશાંત ભૂષણ અને કેજરીવાલ અનિલ અંબાણીના કહેવાથી જ મુકેશ અંબાણી વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓનો ખર્ચ પણ એક બિઝનેસ હાઉસ ઉઠાવી રહ્યું છે. જો કે કાઝમીને જ્યારે પૂછવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ જ દિલ્હીમાં વીજળી પૂરી પાડનારી અનિલ અંબાણીની કંપની સાથે કડક કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે તેમની પાસે આ અંગે કોઇ જવાબ ન હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક પંડિત પણ તેમની સાથે હતા. તેમની બંનેની પાસે અનેક પ્રશ્નોના જવાબ ન હતા.