વારાણસી, 11 મે : લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાનું મતદાન 12 મેના રોજ યોજાવા જઇ રહ્યું છે તેની પૂર્વ સંઘ્યાએ એ વાતને નકારી દીધી છે કે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે તેઓ ત્રીજા મોરચાને સમર્થન આપી શકે છે. આ વાત અરવિંદ કેજરીવાલે સાંજે ટ્વીટર પર ટ્વીટ કરીને કહી હતી.
આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે એક સમાચાર એજન્સી સાથેની વાતમાં જણાવ્યું હતું કે આપ ત્રીજા મોરચાને સમર્થન આપી શકે છે. ગોપાલ રાયે એમ જણાવ્યું હતું કે તેઓ બિનકોંગ્રેસી ગઠબંધનને મુદ્દાઓ પર આધારિત સમર્થન આપી શકે છે.
લોકસભા ચૂંટણી 2014ના નવમા તબક્કાનું મતદાન 12 મે, સોમવારના રોજ સમાપ્ત થઇ જશે. આ દરમિયાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે જો 16 મેના રોજ ચુંટણી પરિણામો આવ્યા બાદ ત્રીજા મોરચાની સરકાર માટે પહેલ થાય છે તો પાર્ટી તેને મુદ્દા આધારિત સમર્થન આપવા અંગે વિચાર કરી શકે છે.
ગોપાલ રાયે જણાવ્યું કે જો આવી સ્થિતિ સર્જાશે તો અમે ત્રીજા મોરચાને સમર્થન આપી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક દિવસોમાં ભાજપને સત્તાના સિંહાસનથી દૂર રાખવા માટે ધર્મનિરપેક્ષ કહેવાતી શક્તિઓ સાથે મળીને આગળ વધે તેની સંભાવના અંગેની ચર્ચા વધુ પ્રબળ બની છે.
આ અંગે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ અને અન્ય નેતાઓએ આ બાબતની સંભાવના વ્યક્ત કરી હતી. આપ સંયોજક અરવિંદ કેજરીવાલના નજીકના ગણવામાં આવતા ગોપાલ રાયે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીના ભવિષ્ય અંગેનો વિચાર ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કર્યા બાદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અમારું આંદોલન આમ આદમી માટે છે આ જ કારણે અમારું સમર્થન પણ મુદ્દા આધારિત હશે.
આપ દ્વારા 542માંથી 422 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સમયે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તેમની પાર્ટી ઓછામાં ઓછી 100 બેઠકો જીતી લાવશે. જો કે ગોપાલ રાયે આપની બેઠકોની સંખ્યાને લઇને કોઇ અનુમાન દર્શાવ્યું ન હતું.