હવે અદાણી ગ્રુપ ધારાવીનો વિકાસ કરશે, 5069 કરોડની બોલી લગાવી હતી
મુંબઈના ધારાવીના વિકાસ માટે અદાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ મળ્યો છે. મળતી વિગતો અનુસાર અદાણી ગ્રુપે આના માટે 5069 કરોડની બોલી લગાવી હતી. અદાણીએ સૌથી વધુ બોલી લગાવીને આ કોન્ટ્રાક્ટ તેના નામે કર્યો છે.
મુંબઈ : મુંબઈના ધારાવીના વિકાસ માટે અદાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ મળ્યો છે. મળતી વિગતો અનુસાર અદાણી ગ્રુપે આના માટે 5069 કરોડની બોલી લગાવી હતી. અદાણીએ સૌથી વધુ બોલી લગાવીને આ કોન્ટ્રાક્ટ તેના નામે કર્યો છે.

એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી કહેવાતા ધારાવીના વિકાસ માટે વર્ષોથી વાતો થતી આવી છે ત્યારે અદાણી ગ્રુપ આ વિસ્તારનો વિકાસ કરશે. વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા પ્રદેશોમાંથી એક ધારાવી તેની ઝુપડપટ્ટી માટે કુખ્યાત છે.
ધારાવીની વધુ વાત કરીએ તો, અહીં 58,000 પરિવારો રહે છે. અહીં લગભગ 12,000 કોમર્શિયલ સંસ્થાનો છે. છેલ્લા બે દાયકાથી મહારાષ્ટ્ર સરકાર આ વિસ્તારના વિકાસની વાત કરી રહી છે. 18 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, ધારાવીના વિકાસ માટે મુંબઈના દાદરમાં 47.5 એકર રેલવેની જમીન રાજ્ય સરકારને અપાઈ છે. ધારાવીના વિકાસ માટે 31 ઓક્ટોબર સુધી ટેન્ડર મંગાવાયા હતા. જો કે તે બાદ ટેન્ડર પ્રક્રિયા લંબાવાઈ હતી.
સમયમર્યાદા વધારાતા પક્ષકારો પાસેથી 15 નવેમ્બર સુધી ટેન્ડર મંગાવાયા હતા. 14 નવેમ્બર સુધીમાં 2 કંપનીઓએ ટેન્ડર જમા કરાવ્યા હતા. અંતિમ તારીખના છેલ્લા દિવસે એક કંપનીએ ટેન્ડર જમા કરાવતા કુલ ત્રણ કંપનીઓએ બીડ મોકલી હતી. 16 નવેમ્બરના રોજ ટેન્ડરો ખોલાતા અદાણીને જવાબદારી મળી હતી. માટે અદાણી ગ્રુપ, નમન ગ્રુપ અને ડીએલએફ એમ ત્રણ કંપનીઓ મેદાનમાં હતી.












Click it and Unblock the Notifications
