'મે ગુસ્સામાં આવીને શ્રદ્ધાને મારી દીધી', આફતાબનો આ દાવો સાચો છે? સાઈકોલોજીસ્ટે કર્યો ખુલાસો
આફતાબે જણાવ્યુ કે કોઈ વાતને લઈને તેની અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને તેણે શ્રદ્ધાની હત્યા કરી દીધી. જાણો આ દાવાની સચ્ચાઈ.
Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબ વિશે રોજ કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. મંગળવારે સાકેત કોર્ટમાં હાજર થવા દરમિયાન આફતાબે જણાવ્યુ કે કોઈ વાતને લઈને તેની અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને તેણે શ્રદ્ધાની હત્યા કરી દીધી. જો કે આફતાબના આ દાવાને હવે અપોલો હૉસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સાઈકોલૉજીસ્ટ ડૉ. સંદીપ વોહરાએ ફગાવી દીધો છે.
'આ સમજી-વિચારેલી હત્યા છે'
સમાચાર એજન્સી એએનઆઈના સમાચાર મુજબ ડૉ. સંદીપ વોહરાએ કહ્યુ કે આ ગુસ્સામાં કરેલી હત્યાનો મામલો નથી પરંતુ સંપૂર્ણપણે પૂર્વયોજિત હત્યા છે. ડૉ. સંદીપ વોહરાએ કહ્યુ, 'હું એ દાવા સાથે બિલકુલ સહમત નથી કે આફતાબે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી છે. જો ગુસ્સામાં આવુ કંઈક થયુ હોય તો જે વ્યક્તિ આવુ કરે તેને તરત જ તેના અપરાધનો અહેસાસ થાય છે અને તે ખુદને દોષિત અનુભવે છે, ભલે તરત જ ના થાય પરંતુ બાદમાં તેને આ વાતનો અહેસાસ થાય છે.'
'આફતાબે પ્લાનિંગ હેઠળ આ હત્યાને અંજામ આપ્યો હતો'
ડૉ. સંદીપ વોહરાએ વધુમાં કહ્યુ કે, 'ઘણી વખત તમે આવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઈએ ગુસ્સામાં આવીને કોઈને ગોળી મારી દીધી હોય, અથવા તેની હત્યા કરી હોય અને બાદમાં તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરીને પોતાનો ગુનો કબૂલી લીધો હોય. એટલા માટે હું કહી શકુ છુ કે આ ગુસ્સામાં હત્યાનો મામલો નથી. આ કેસને જોતા એવુ લાગે છે કે આફતાબના મગજમાં સતત કંઈક ચાલતુ હતુ અને તેણે પ્લાનિંગ હેઠળ આ હત્યાને અંજામ આપ્યો હતો. કારણ કે, તેણે હત્યા કર્યા પછી જે કર્યુ તે સામાન્ય વ્યક્તિ ના કરી શકે પરંતુ મનોવૈજ્ઞાનિક લક્ષણો ધરાવતી વ્યક્તિ જ કરી શકે છે. આફતાબ જેવા લોકોને પોતાના કૃત્ય બદલ કોઈ પસ્તાવો નથી થતો.
'શ્રદ્ધાને પરિવારનો સપોર્ટ મળ્યો હોત તો આજે એ જીવતી હોત'
દિલ્લી પોલીસના સવાલો પર આફતાબના અસ્પષ્ટ જવાબો અંગે ડૉ. સંદીપ વોહરાએ કહ્યુ, 'આવા કિસ્સાઓમાં આફતાબ જેવા લોકો સતત તેમના નિવેદનો બદલી નાખે છે અને પોલીસને ગેરમાર્ગે દોરે છે. એવા લોકો પર કોઈ પણ પ્રકારનો ભરોસો ન કરી શકાય જેમની અંદર સામાન્ય લાગણીઓ નથી. શ્રદ્ધા મર્ડર કેસમાં તેની પોતાના પરિવાર સાથે વાત ન કરવી અને પરિવાર તરફથી સમર્થન ન મળવુ એ પણ એક મોટુ પરિબળ છે. જો શ્રદ્ધાને શરૂઆતથી જ પરિવારનો સાથ મળ્યો હોત તો તે આજે જીવિત હોત.