ફાંસીના થોડાક સમય પહેલા અફઝલે લખ્યો'તો પત્નીને પત્ર
અફઝલને ફાંસી આપવાની તૈયારી 4 ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી ત્યારથી થઇ ગઇ હતી. પોતાનું નામ નહીં જણાવવાની શરતે એક અધિકારીએ કહ્યું કે, જ્યારે તેને ફાંસીની જાણકારી આપવામા આવી ત્યારે તે શાંતઅ અને કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યો ન હતો. તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે તેની પત્નીને એક પત્ર લખવા માંગે છે. જેલ અધીક્ષકે તેને પેન અને કાગળ આપ્યા. અધિકારીએ જણાવ્યું હતું કે તેણે ઉર્દુમાં પત્ર લખ્યો હતો, જે કાશ્મિરમાં રહી રહેલા તેના પરિવારના સરનામે એ જ દિવસે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે આ પત્ર અંગે ઘાટીમાં રહી રહેલા તેના પરિવારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હજુ સુધી તેમને કોઇ પત્ર મળ્યો નથી.
અફઝલ ગુરુના પિતરાઇ ભાઇ યાસિન ગુરુએ જણાવ્યું, ' અમને હજુ સુધી પત્ર મળ્યો નથી. આજે જે પત્ર અમને મળ્યો છે તે કદાચ તેને ફાંસી આપવામાં આવી તે અંગેની જાણકારી સંબંધિત છે.' અફઝલ ગુરુને તિહાર જેલ સંખ્યા- 3 સ્થિત તેના એકાંતવાળા સેલની નજીક જ ફાંસી આપવા માટે જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણયની જાણકારી અમુક ગણ્યાં ગાઠ્યાં અધિકારીઓને જ આપવામાં આવી હતી. ત્રણ ડોક્ટર અને એક મૌલવી, જેમણે તેનું કફન દફન કર્યું તેને એક રાત્રી પહેલા ગુપ્ત રીતે સૂચિત કરવામાં આવ્યા હતા. તેમને શનિવારે સવારે જ આવવા માટે કહેવામાં આવ્યું હતું.
કાર્યવાહીને ગુપ્ત રાખવાનો હેતુ તેની જાણકારી લોકોને નહીં આપવાનો હતો. અફઝલે સવારે પોતાની નમાઝ અદા કરી અને પવિત્ર કુરાનના કેટલાક પન્નાનું વાંચન કર્યું. ફાંસીવાળી સવારે તે શાંત હતો અને તેણે અધિકારીઓનું અભિવાદન કર્યું. તેમાંથી ઘણા લોકોને તેણે તેમના પહેલા નામથી સંબોધિત કર્યા. તેને તેના સેલની નજીક જ દફનાવી દેવામાં આવ્યો. પરિવારની માંગ હતી કે તેમને અફઝલ ગુરુના અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી મળવી જોઇએ. અધિકારીઓએ કહ્યું કે, સરકાર આ અંગે નિર્ણય કરશે. અફઝલ ગુરુને 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર કરવામાં આવેલા હુમલાનું ષડયંત્ર રચવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.