કૃષિ કાયદા : કેવી છે જોગવાઈઓ અને કેમ થઈ રહ્યો છે આટલો વિરોધ?

કૃષિ કાયદા : કેવી છે જોગવાઈઓ અને કેમ થઈ રહ્યો છે આટલો વિરોધ?

પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોથી આવેલા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઈને દિલ્હીની ઉત્તર પ્રદેશ-હરિયાણા સાથે જોડાયેલી સીમાઓ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને પાંચ વાર વાતચીત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂત સંગઠનોની માગણી ત્રણે કૃષિ કાયદાઓ રદ થાય એવી છે અને આ મુદ્દે 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.

ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહ્યો છે પરંતુ સરકાર આ કાયદાઓ ખેડૂતોના હિતમાં હોવાની વાત કરી રહી છે.

પહેલાં સમજીએ કે આખરે આ ત્રણેય કાયદાઓમાં આખરે છે શું?


કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020

દિલ્હીની સીમાઓ પર ખેડૂતોનાં પ્રદર્શન

- આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે જ્યાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC (એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હશે.

- આ કાયદામાં ખેડૂતોના પાકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ જાતની રોકટોક વગર વેચાણ કરવાની વાતને ઉત્તેજન અપાયું છે.

- બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ છે જેથી ખેડૂતોને સારી કિંમત મળી શકે.

- તેમાં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત પણ કરાઈ છે.

વિપક્ષનો તર્ક

https://twitter.com/bbcnewsgujarati/status/1335491824413237249

- રાજ્યોને આવકમાં નુકસાન થશે કારણ કે જો ખેડૂત APMCની બહાર પાક વેચશે તો તેઓ 'મંડી ફી’ નહીં વસૂલી શકે.

- કૃષિ વેપાર જો મંડીઓની બહાર જતો રહે તો 'કમિશન એજન્ટો’નું શું થશે?

- આવું થયા બાદ ધીમે ધીમે MSP (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) પર પાકની ખરીદી બંધ કરી દેવાશે.

- મંડીઓમાં વેપાર બંધ થયા બાદ મંડીના માળખા તરીકે સર્જાયેલી ઈ-નેમ જેવી ઇલેકટ્રોનિક વેપારપ્રણાલીનું આખરે શું થશે?


કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020

કૃષિ પેદાશો

- આ કાયદામાં કૃષિ કરારો (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ કરાઈ છે.

- આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિ વેપાર કરનાર ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી નક્કી કરેલ કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે.

- પાંચ હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકશે.

- બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો છે.

- અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું, ટૅક્નિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર, ઋણની સુવિધા અને પાક વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.

- આ અંતર્ગત ખેડૂતો મધ્યસ્થીને હઠાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે છે.

- કોઈ વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં એક તંત્રને સ્થાપિત કરવાની વાત પણ કરાઈ છે.

વિપક્ષનો તર્ક

- કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ દરમિયાન ખેડૂત આયોજક સાથે ખરીદ-વેચારણની ચર્ચા કરવા મામલે કમજોર હશે.

- નાના ખેડૂતોની ભીડ હોવાના કાણે કદાચ આયોજક તેમની સાથે સોદો કરવાનું પસંદ ન પણ કરે.

- કોઈ વિવાદની સ્થિતિમાં એક મોટી કંપની, નિકાસકાર, જથ્થાબંધ વેપારી કે પ્રોસેસર જે આયોજક હશે તેને લાભ થશે.


આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020

ખેડૂત આંદોલન

- આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હઠાવવાનો અર્થ એ થયો કે માત્ર યુદ્ધ જેવી 'અસાધારણ પરિસ્થિતિઓ’ને બાદ કરતાં હવે મનફાવે એટલો સ્ટૉક રાખી શકાશે.

- આ કાયદાથી ખાનગી સેક્ટરનો કૃષિ ક્ષેત્રમાં ડર ઓછો થશે કારણ કે અત્યાર સુધી વધુ પડતા કાયદાકીય હસ્તક્ષેપના કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતાં ગભરાતાં હતા.

- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણ થશે.

- આ કાયદો અમુક વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદ કરશે.

- બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડો થશે.

વિપક્ષનોતર્ક

- 'અસાધારણ પરિસ્થિતિઓ’માં કિંમતોમાં જબરદસ્ત વધારો થશે જે બાદમાં નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનશે.

- મોટી કંપનીઓ પાસે અમુક પાકનો વધારે સ્ટૉક રાખવાની ક્ષમતા હશે. તેનો અર્થ એ થયો કે પછી તે કંપનીઓ ખેડૂતોને કીમતો નક્કી કરવા માટે મજબૂર કરશે.


વિરોધનાં અન્ય કારણો

ખેડૂત આંદોલન

ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદાના કાણે કૃષિ ક્ષેત્ર પણ મૂડીપતિઓ અને કૉર્પોરેઠ હાઉસીસના હાથમાં જતો રહેશે અને તેનું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે.

કૃષિ મામલાના જાણકાર દેવન્દ્ર શર્મા પ્રમાણે ખેડૂતોની ચિંતા યોગ્ય છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “જો ખેડૂતોને બજારમાં સારી કિંમતો મળી રહી હોત તો તેઓ બહાર કેમ જતા.”

તેમનું કહેવું છે કે જે પેદાશો પર ખેડૂતોને MSP નથી મળતી, તેને તેઓ ઓછી કિંમતે વેચવા પર મજબૂર બની જતા હોય છે.

પંજાબમાં થતા ઘઉં અને ચોખાનો મોટો ભાગ કાં તો FCI દ્વારા પેદા કરવામાં આવે છે કાં તો FCI જ તેની ખરીદી કરે છે. વર્ષ 2019-20 દરમિયાન રબીના માર્કેટિંગ સિઝનમાં, કેન્દ્ર દ્વારા ખરીદાયેલા લગભગ 341 લાખ મેટ્રિક ટન ઘઉંમાંથી 130 લાખ મેટ્રિક ટન ઘઉંનો પુરવઠો પંજાબે પૂરો પાડ્યો હતો.

પ્રદર્શનકારીઓને એ ડર છે કે FCI હવે રાજ્યની મંડીઓ પાસેથી ખરીદી નહીં કરી શકે, જેથી એજન્ટો અને આડતીયઓને લગભગ 2.5 ટકા કમિશનનું નુકસાન થશે. સાથે જ રાજ્યોને પણ છ ટકા કમિશનનું નુકસાન થશે. જે તેઓ એજન્સીની ખરીદી પર લાદીને મેળવે છે.

દેવન્દ્ર કહે છે કે આનું સૌથી વધુ નુકસાન એ થશે કે ધીરે ધીરે મંડીઓ ખતમ થવા લાગશે.

પ્રદર્શનકારીઓનું માનવું છે કે કાયદો જે ખેડૂતોને પોતાની ઊપજ ખુલ્લા બજારમાં વેચવાની અનુમતિ આપે છે, તે લગભગ 20 લાખ ખેડૂતો, ખાસ કરીને જાટ લોકો માટે તો એક ફટકો જ છે.

સાથે જ શહેરી કમિશન એજન્ટો, જેમની સંખ્યા 30 હજાર છે, તેમના માટે અને લગભગ ત્રણ લાખ મંડી મજૂરોની સાથોસાથ લગભગ 30 લાખ ભૂમિહીન ખેતમજૂરો માટે આ એક મોટો ફટકો સાબિત થશે.


બજાર માટે છે આ કાયદો?

https://twitter.com/bbcnewsgujarati/status/1334839015665782786

બે રાજ્યો વચ્ચેના વેપારને ઉત્તેજન આપવાની જોગવાઈ પર દેવેન્દ્ર કહે છે કે, “86 ટકા ખેડૂતો એક જિલ્લાથી બીજા જિલ્લામાં નથી જઈ શકતા, તેથી કોઈ અન્ય રાજ્યમાં જવાનો પ્રશ્ન જ નથી આવતો. આ કાયદો બજાર માટે બન્યો છે, ખેડૂત માટે નહીં.”

કાયદા પ્રમાણે તેના કારણે ખેડૂતો નવી તકનીક સાથે જોડાઈ શકશે, પાંચ એકર કરતાં ઓછી જમીનવાળા ખેડૂતોને કૉન્ટ્રેક્ટર્સનો લાભ મળશે.

જોકે, દેવન્દ્ર કહે છે કે આ જોગવાઈથી ખેડૂત “પોતાની જ જમીન પર મજૂર બની જશે.”

આવશ્યક વસ્તુ સંશોધન કાયદા પર દેવેન્દ્ર કહે છે કે આનાથી કાળાબજારીને પ્રોત્સાહન મળી શકે છે. તેઓ કહે છે કે, “અમે જમાખોરીને મંજૂરી આપી દીધી છે, આ વસ્તુઓ પર હવે કોઈ કંટ્રોલ નહીં રહે.”


સરકારના સાથી પણ પાછળ હઠ્યાં

હરસિમરત કૌર બાદલ

કેન્દ્રીય મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યા બાદ હરસિમરત કૌર બાદલે ટ્વીટ કર્યું હતું, “મેં કેન્દ્રીય મંત્રી પદ પરથી ખેડૂત વિરોધી વટહુકમો અને બિલ વિરુદ્ધ રાજીનામું આપ્યું છે. ખેડૂતોની દીકરી અને તેમની બહેન તરીકે તેમની સાથે ઊભા રહેવા પર મને ગર્વ છે.”

અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલનું કહેવું હતું કે તેમની પાર્ટી સાથે આ વટહુકમોને લઈને સંપર્ક નહોતો કરાયો, જ્યારે હરસિમરત કૌરે આને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 'પંજાબ અને હરિયાણાના ખેડૂતો આનાથી ખુશ નથી.’


સરકારનો શો તર્ક છે?

મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આને “આઝાદી બાદ ખેડૂતોને ખેતીમાં નવી આઝાદી” આપનારો કાયદો ગણાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત સરકારની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહી ચૂક્યા છે કે રાજકીય પાર્ટીઓ આ કાયદાઓને લઈને દુષ્પ્રચાર કરી રહી છે.

તેઓ કહેતા રહ્યા છે કે ખેડૂતોને APMCનો લાભ નહીં મળવાની વાત ખોટી છે.

બિહાર ચૂંટણી દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, “જે લોકોએ દેશમાં દાયકાઓ સુધી શાસન કર્યું, સત્તામાં રહ્યા, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે.”

મોદીએ કહ્યું હતું કે કાયદામાં એ જ વસ્તુઓ છે જે દેશમાં દાયકાઓ સુધી રાજ કરનારાઓએ પોતાના ઘોષણાપત્રમાં લખી હતી. મોદીએ કહ્યું કે અહીં “વિરોધ કરવા માટે વિરોધ” થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે ખેડૂતોની કમાણીનો મોટો ભાગ લઈ જનારા વચેટિયાઓથી બચવા માટે આ કાયદો લાવવાની જરૂર હતી.

કેન્દ્ર સરકારના ઘણા મંત્રી આ કાયદાઓની પ્રશંસા કરતા રહ્યા છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=hWnCRW8nn3g&feature=emb_title

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X