AIADMK જ અમ્માનું જીવન હતું અને અમ્મા મારુંઃ શશિકલા
શશિકલા નટરાજન બન્યા AIADMKના નવા મહામંત્રી.
શશિકલા નટરાજને આજથી AIADMKના નવા મહામંત્રી તરીકેની પદવી સંભાળી. અમ્મા જયલલિતાના નિધન બાદ AIADMK(ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડા મુન્નેત્રા કાઝાગમ) પક્ષનું નેતૃત્વ હવે 'ચિનમ્મા' એટલે કે શશિકલા નટરાજન સંભાળશે. શશિકલાએ કોઇ પણ ખચકાટ વગર AIADMK પાર્ટીના જનરલ સેક્રેટરી બનવાનો પાર્ટીનો નિર્ણય સ્વીકારી લીધો હતો.

શશિકલાએ પાર્ટી ઓફિસ પહોંચ્યા બાદ સૌપ્રથમ સ્વર્ગસ્થ જયલલિતાને પ્રણામ કર્યા હતા અને ત્યાર બાદ પાર્ટીના સ્થાપક એમ.જી.રામાચંદ્રનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે, જયલલિતા અને શશિકલાને નિકટ લાવવામાં અમ.જી.રામાચંદ્રનનો બહુ મોટો ફાળો હતો.
પાર્ટીના અંદરોઅંદરના મતભેદ શમી જાય એ આશાએ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે શશિકલા નટરાજનની પસંદગી કરવામાં આવી છે. આ પદ સ્વીકાર્યા બાદ શશિકલાએ પાર્ટી અને જયલલિતા પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવતાં કહ્યું હતું કે, આ પક્ષનો વારસો તેમના મહાન નેતાઓનો જ છે અને કોઇ એ વારસો પોતાના નામે કરી શકે એમ નથી. ઉલ્લેખનીય છે કે, AIADMK ના નીચલા સ્તરના કાર્યકાર્તાઓમાં હજુ પણ શશિકલાને પાર્ટીનો કારોભાર સોંપવા અંગે અસંમતિ જોવા મળી છે.
શશિકલાએ પોતાના પહેલા સંબોધનમાં પાર્ટીના કાર્યકર્તાઓને ખાતરી આપી છે કે તેઓ અમ્માને બતાવેલા રસ્તે જ પાર્ટીને આગળ વધારશે. અમ્મા સાથેની જૂની યાદો તાજી કરતાં શશિકલા અત્યંત ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું, 'હું મારું હવે પછીનું જીવન આ પાર્ટી અને તમિલનાડુના વિકાસને અર્પણ કરું છું. મારો વિશ્વાસ છે કે અમ્મા મને માર્ગદર્શન પૂરું પાડશે. તમે મારા પ્રત્યે જે વિશ્વાસ અને પ્રેમ બતાવ્યો છે એ માટે હું આપની અત્યંત આભારી છું.'
શશિકાલાએ પોતાના ભાષણમાં જયલલિતા અને પાર્ટી પ્રત્યેની પોતાની વફાદારી ભારપૂર્વક દર્શાવી હતી અને સાથે જ પાર્ટીના કાર્યકર્તાઓને ખાતરી આપી હતી કે 2017માં એમજીઆરની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
