સપા સંગ્રામનો આવશે અંતઃ પુત્ર સામે મુલાયમ થયા પિતા
સમાજવાદી પાર્ટીમાં ચાલતા ઘમાસાણ સમાપ્ત થતું દેખાઇ રહ્યું છે. પાર્ટીમાં ચાલતા વિવાદને પૂરો કરવા માટેની આજે પિતા-પુત્ર વચ્ચે બેઠક યોજાઇ હતી. 10 દિવસોમાં આ 8મી છે.
સમાજવાદી પાર્ટીના ભાગલા પડતા અટકાવવા માટે મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ વધુ એક પ્રયત્ન કરી રહ્યાં છે. અખિલેશ યાદવ આજે મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરવા તેમના આવાસ પર જઇ પહોંચ્યા હતા. પાર્ટીને બચાવવાનો 10 દિવસોમાં આ 8મો પ્રયાસ છે, શક્ય છે કે આ મુલાકાત નિર્ણાયક સાબિત થાય.
સપામાં પાર્ટીના ચૂંટણી ચિહ્નને લઇ યુદ્ધ છેડાયું છે અને પાર્ટીના છૂટા પડેલા બંન્ને દળો આ વિવાદ લઇને ચૂંટણી પંચ પાસે પણ જઇ આવ્યા છે. અત્યારે અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સામે સૌથી મોટો પડકાર છે પાર્ટીના ચૂંટણી ચિહ્ન 'સાયકલ'ને રદ્દ થતાં બચાવવું. ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે, ઉત્તર પ્રદેશમાં પહેલા ચરણનું મતદાન 11 ફેબ્રૂઆરીના રોજ થશે અને ઉમેદવારી નોંધાવવામાં માત્ર થોડા દિવસો જ બચ્યા છે. આથી બંન્ને દળો બને એટલી જલ્દી આ વિવાદ ઉકેલવા માટે અધીરા બન્યા છે.
અહીં વાંચો - નરેન્દ્ર મોદી હીરાબાને પગે લાગ્યા, તો કેજરીવાલને પેટમાં દુખ્યું
અખિલેશ જ બનશે મુખ્યમંત્રી
મુલાયમ સિંહ યાદવે ગઇકાલે આ વિવાદને ઉકેલવાના સાફ સંકેતો આપતા કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવ જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે. આ પહેલાં મુલાયમ સિંહ યાદવ આ કહેવાથી હંમેશા બચતા રહ્યાં છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, મુલાયમ સિંહ યાદવ પાર્ટીની અંદરના વિવાદને પૂરો કરવા તત્પર છે અને આ માટે તેઓ સમજૂતી કરવા પણ તૈયાર છે.
સપા સંગ્રામ માટે રમગોપાલ યાદવ જવાબદાર
મુલાયમ સિંહ યાદવે મીડિયાને નિવેદન આપતાં કહ્યું હતું કે, અખિલેશ તો મારો પુત્ર છે, એની સાથે મને કોઇ સમસ્યા નથી. ખામી અખિલેશમાં નહીં પરંતુ સપા પાર્ટીમાં બેઠેલા કેટલાક લોકોમાં છે. મારા પુત્ર અને મારી વચ્ચે કોઇ મતભેદ નથી, હું સપાનો સુપ્રીમો છું અને શિવપાલ પ્રદેશ પ્રમુખ. ચૂંટણી બાદ જો ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જ મુખ્યમંત્રી બનશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ બધા વિવાદો માટે માત્ર એક વ્યક્તિ જવાબદાર છે. મુલાયમ સિંહ યાદવે અહીં પોતાના પિતારઇ ભાઇ અને રાજ્યસભાના સભ્ય રામગોપાલ યાદવ તરફ ઇશારો કર્યો હતો, જેમને તેમણે પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કાઢ્યા છે.
અખિલેશ સાથે કોઇ મતભેદ નથી, સમસ્યા સપામાં છે
મુલાયમ સિંહ યાદવે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીમાં જે થોડો-ઘણો વિવાદ છે, તે લખનઉ પહોંચતાની સાથે ઉકેલી લેવામાં આવશે. મુલાયમ સિંહ યાદવે સભાપતિને પત્ર લખીને રાજ્યસભાના સભ્ય રામગોપાલ યાદવને સપામાંથી નિષ્કાસિત કરવાની સૂચના આપી છે.