અમરનાથ યાત્રા : 3 લાખ શ્રદ્ધાળુના દર્શન બાદ હિમલિંગ સંપૂર્ણ પીગળ્યું
શ્રીનગર, 26 જુલાઇ : અમરનાથ યાત્રામાં અંદાજે 3 લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા બાદ તેમના અસ્તિત્વના પ્રતીક સમાન હિમલિંગ સંપૂર્ણ પીગળી ગયું છે. અત્યાર સુધી કુલ 3.12 લાખ શ્રદ્ધાળુઓ યાત્રા કરી ચૂક્યા છે. હિમલિંગ પિગળ્યા બાદ 62,000 યાત્રીઓએ દર્શન કર્યા હતા. અત્યાર સુધીમાં યાત્રા દરમિયાન કુલ 11 યાત્રીઓનાં મૃત્યુ થયા છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં સૌથી ઓછા મોત થવાનો રેકોર્ડ છે.
આ વર્ષે 15 જુલાઇની સાંજે હિમલિંગ પિગળી ગયું હતું. યાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. યાત્રાને 28 જુલાઇના રોજ એક મહિનો પૂરો થશે. આ વખતે યાત્રાનો સમયગાળો 55 દિવસનો છે. જેથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે એક મહિનામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. યાત્રાના અંતિમ દિવસ સુધી હિમલિંગ અસ્તિત્વમાં હતું.
આ વર્ષે બાબા અગાઉથી જ અદ્રશ્ય થઇ રહ્યા છે. જોકે યાત્રા ત્રણ લાખનો આંકડો પાર કરી ચૂકી છે. ઉત્તરાખંડ હોનારત અને યાત્રા રજીસ્ટ્રેશન માટે જરૂરી સ્વાસ્થ્ય પ્રમાણપત્રની યાત્રા પર અસર પડી છે. સાધુઓની સંખ્યામાં આ વખતે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સરેરાશ ગયા વર્ષે અહીં 200થી 300 સાધુઓ યાત્રા પર જતા હતા. આ વર્ષે આ આંકડો 100 સુધી સમેટાઇને રહી ગયો છે.
આ વર્ષે યાત્રા 28 જૂનથી 55 દિવસ સુધી ચાલશે. આ મુજબ 55 દિવસીય યાત્રા 21 ઓગષ્ટ એટલે કે રક્ષાબંધન સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 6,21,145 ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા.