અમિત શાહનો શ્રીનગર પ્રવાસઃ સ્નાઈપર્સના સુરક્ષા ઘેરામાં ગૃહમંત્રી, જમ્મુ કાશ્મીરમાં 700થી વધુ લોકો પકડ્યા
જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શ્રીનગર પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શ્રીનગર પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. રાજ્યમાંથી 700થી વધુ લોકોને પકડવામાં આવ્યા છે જેમાંથી અમુકને સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(PSA)હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે મોટાભાગની ધરપકડ દક્ષિણ કાશ્મીરમાં થઈ છે. આતંકવાદી જૂથોના ભૂસંપર્ક ધ્વસ્ત કરવા માટે આવુ કરવામાં આવ્યુ છે. ખતરનાક મનસૂબાવાળા લોકોને પોલિસ દ્વારા વિવિધ સ્થળોએ પકડવામાં આવ્યા છે. જેમાંથી પીએસએ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવેલા બંદીઓને કેન્દ્રશાસિત પ્રદેશની બહારની જેલોમાં લઈ જવામાં આવ્યા છે.
370 હટ્યા બાદ પહેલી વાર આવ્યા અમિત શાહ
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પહેલો પ્રવાસ છે. પોતાના પ્રવાસ પર ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરમાં 3 દિવસ રહેશે. તે અહીં સેના અને આઈબી ચીફ સહિત 12 મોટા અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમનો પ્રવાસ શરૂ થતા પહેલા જ શ્રીનગર શહેમાં વાહન વ્યવહાર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ટુ વ્હીલર વાહન ચલાવનારાની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ બજારોમાં યાત્રીઓ તેમજ દુકાનદારોની તપાસ પણ કરવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીર પોલિસે લોકોને કરી આ અપીલ
જમ્મુ કાશ્મીર પોલિસે ટ્વિટ કરીને જમ્મુ કાશ્મીરવાસીઓને શાંતિ વ્યવસ્થા જાળવી રાખીને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ કરવાની અપીલ કરી. ટ્વિટમાં લખ્યુ કે, 'આતંકવાદ, નશીલા પદાર્થોની તસ્કરી કે કોઈ અન્ય રાષ્ટ્ર વિરોધી/અસામાજિક ગતિવિધિ વિશે તાત્કાલિક માહિતી શેર કરવામાં આવે.' પોલિસના હેલ્પલાઈન નંબર શેર કરવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે આ પહેલ તમારી પોલિસને રાષ્ટ્ર વિરોધી તાકાતો સામે લડવામાં મદદ કરશે અને તે વેપારીઓ, પર્યટકો, ટ્રાન્સપોર્ટરો, છાત્રો અને અન્ય લોકો વચ્ચે સુરક્ષાની ભાવનાને વધારવાનો એક પ્રયાસ છે.
અન્ય રાજ્યોના લોકોને બનાવવામાં આવી રહ્યા છે નિશાન
ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યોના ઘણા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ મહિને ઘાટીમાં આવા હુમલામાં 11 નાગરિક માર્યા ગયા છે જેમાં મોટાભાગના બિહાર અને ઉત્તર પ્રદેશના પ્રવાસી કામદાર છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા(એલઈટી) સાથે જોડાયેલા એક મોરચાએ આ હત્યાઓની જવાબદારી લીધી છે. અધિકારીઓનુ કહેવુ છે કે છેલ્લા 15 દિવસોમાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકવાદીઓએ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા જેમાં 11 લોકો માર્યા ગયા.
પીડિત પરિવારોને મળી શકે છે અમિત શાહ
શાહના પ્રવાસને ઘાટીમાં હાલમાં થઈ રહેલ આતંકવાદી ગતિવિધિઓ સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યુ છે. શાહ હાલમાં જ માર્યા ગયેલા એક કાશ્મીરી પંડીત માખન લાલ બિંદરુના પરિવારને મળી શકે છે. બિંદરુને 5 ઓક્ટોબરે ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત શાહ 7 ઓક્ટોબરે મારવામાં આવેલ પ્રિન્સિપલ સુપિંદર કૌર અને અરશદ અહેમદ મીરના પરિવારજનોને પણ મળી શકે છે.
આ કાયદા હેઠળ થઈ રહી છે ધરપકડ
સરકાર જમ્મુ કાશ્મીરમાં સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(પીએસએ) હેઠળ કોઈ વ્યક્તિને પકડે છે. આ કાયદો જમ્મુ કાશ્મીર માટે અદ્વિતીય માનવામાં આવે છે જેમાં કોઈ વ્યક્તિને એક આદેશ પર મહત્તમ બે વર્ષ માટે કોઈ કેસ વિના કસ્ટડીમાં લઈ શકાય છે, જો તેનુ કામ આ રાજ્યની સુરક્ષા કે સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમી હોય તો. મીડિયા રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે શાહના શનિવારથી શરૂ થતા શ્રીનગર-જમ્મુના ત્રણ દિવસીય પ્રવાસ પહેલા પીએસએ હેઠળ ઘણી ધરપકડ થઈ છે.
ઓગસ્ટ 2019માં હટાવવામાં આવી કલમ 370
કેન્દ્ર સરકારે અમિત શાહની આગેવાનીમાં જ ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નિષ્ક્રિય કરી દીધુ હતુ. ત્યારબાદ એ રાજ્યને ડાઉનગ્રેડ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દેવામાં આવ્યા હતા. નવી વ્યવસ્થાઓ લાગુ થયા બાદ શાહની જમ્મુ કાશ્મીરની આ પહેલી યાત્રા છે. આ યાત્રાના પહેલા દિવસે એટલે શનિવારે શાહ દ્વારા શ્રીનગરમાં સુરક્ષા અને વિકાસ સંબંધી પરિયોજનાઓની સમીક્ષા કરવાની સંભાવના છે અને રવિવારે જમ્મુમાં એક સાર્વજનિક રેલી કરવાની સંભાવના છે.