અમિત શાહની ટીમ બદલાઇ, ઓમ માથુર યુપીના ઇંચાર્જ
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોટી જીત નોંધાવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજ્યોના પ્રભારિયોને નવેસરથી નક્કી કર્યા છે. એટલું જ નહીં વિધાનસબા ચૂંટણીના ઇંચાર્જ ઓમ માથુરને હવે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને ત્યાં ચૂંટણીની તૈયારીઓમાં ઝંપલાવવા જણાવ્યું છે. અત્યાર સુધી અમિત શાહ પોતે ઉત્તર પ્રદેશનો પ્રભાર જોઇ રહ્યા હતા.
અમિત શાહે રાજ્યોના પ્રભારીઓમાં જે ફેરફાર કર્યો છે તે અનુસાર દિલ્હીની જવાબદારી પ્રભાત ઝાને તો ગુજરાતની જવાબદારી દિનેશ શર્માને આપવામાં આવી છે. હરિયાણાના પ્રભારી અનિલ જૈનને બનાવવામાં આવ્યા છે તો ઝારખંડનો પ્રભાર ત્રિવેન્દ્ર સિંહ રાવતને સોંપવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પ્રભારી તરીકે શાનદાર કામ કરનાર અમિત શાહને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમિત શાહની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં હાલમાં થયેલા વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમિત શાહનું કહેવું છે કે હરિયાણામાં અને મહારાષ્ટ્રની તર્જ પર અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન ચલાવશે.