યાત્રીની તબિયત બગડતા IndiGo ફ્લાઈટનું જોધપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, યાત્રીનું સારવાર દરમિયાન મોત
ઈન્ડિગોની એક ફ્લાઈટને રાજસ્થાનના જોધપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એક યાત્રીની તબિયત બગડતા ફ્લાઈટને જોધપુર એરપોર્ટ પર ઉતારાઈ હતી.
જોધપુર : મંગળવારે જોધપુર એરપોર્ટ પર ઈન્ડિગોની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર, જેદ્દાહથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીની તબિયત બગડતા ફ્લાઈટને રાજસ્થાનના જોધપુર એરપોર્ટ પર ઉતારાઈ હતી. જો કે તેમ છત્તા પણ યાત્રીનો જીવ બચાવી શકાયો નહીં અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયુ.

ડોક્ટરો અનુસાર, યાત્રીને હોસ્પિટલ લવાયા ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચુક્યુ હતું. મૃતક 61 વર્ષીય મિત્રા બાનો જમ્મુ કાશ્મીરના રહેવાસી હતા. ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, ઓનબોર્ડના એક ડૉક્ટરે મુસાફરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા ક્રૂને મદદ કરી હતી. એરલાઈન્સે મિત્રા બાનોના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
મૃતક સાથે તેમનો પુત્ર મુઝફ્ફર પણ યાત્રા કરી રહ્યો હતો. વિમાન સવારે 11 વાગ્યે જોધપુર પહોંચ્યું હતું. મૃતકના પુત્રએ દાવો કર્યો કે, તેની માતા પહેલા ક્યારેય બીમાર ન હતી. સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન તે ઠીક હતા અને કોઈને કલ્પના પણ નહોંતી કે આવુ કંઈક થશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, થોડા અઠવાડિયા પહેલા મદુરાઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. આ ફ્લાઈટમાં 60 વર્ષના પેસેન્જરની તબિયત લથડી હતી. આ દરમિયાન તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.












Click it and Unblock the Notifications
