ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આંધ્ર પ્રદેશની જગન મોહન સરકાર વિશે કરી ભવિષ્યવાણી, સાઉથમાં ખળભળાટ
Andhra Pradesh Assembly Election 2024: લોકસભા ચૂંટણીની તારીખોનુ ગમે ત્યારે એલાન થઈ શકે છે, બીજી તરફ આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ પણ આવી રહી છે. આ દરમિયાન રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે એવુ નિવેદન આપ્યુ જેનાથી સાઉથમાં ખળભળાટ મચી ગયો છે.
આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે. આંધ્રપ્રદેશમાં આ વખતે જગન મોહન રેડ્ડી અને તેલુગુ દેશમ પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી સાથે, વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને જીતવાની વધુ તકો છે તે વિશે પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી હતી.

તમને જણાવી દઈએ કે રાજકીય રણનીતિકાર અને સલાહકાર પ્રશાંત કિશોરે 2019માં આંધ્ર વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં પ્રશાંત કિશોરે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતુ કે, 'જગન મોહન રેડ્ડી આ વખતે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારી જશે. એવી છબી છે કે જગન અજેય છે પરંતુ મને નથી લાગતું કે તે સાચું છે.'
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યુ કે, 'સાચું કહું તો પરિસ્થિતિ તેના માટે પરફેક્ટ છે. આંધ્રમાં અત્યારે રાજકીય પરિસ્થિતિ શું છે તેનો મારી પાસે કોઈ ડેટા નથી. પરંતુ મને લાગે છે કે તે આંધ્ર વિધાનસભાની ચૂંટણી હારી જશે. અને એ નાની નિષ્ફળતા નહિ હોય તે ખરાબ રીતે નિષ્ફળ જવાના છે.' જો કે, YSRCP નેતાઓએ કહ્યું કે પ્રશાંત કિશોરની આગાહી તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં ખોટી સાબિત થઈ. હવે તે રાજકારણી છે, વ્યૂહરચનાકાર નથી.
વાયએસઆરસીપી સંસદીય દળના નેતા વી. વિજયસાઈ રેડ્ડીએ કહ્યું કે પ્રશાંત કિશોર તાર્કિક ડેટા વગર બોલી રહ્યા હતા. પ્રશાંત કિશોરના શબ્દો પર વિશ્વાસ ન કરો, તે ચંદ્રાબાબુ નાયડુ સાથે ચાર કલાકની બેઠક પછી તાર્કિક ડેટા વિના બોલી રહ્યા છે. સમકાલીન રાજકારણમાં પ્રશાંત કિશોરનું કોઈ મહત્વ નથી. રાજ્યના લોકો આંધ્રપ્રદેશ સરકારની કલ્યાણકારી યોજનાઓથી સંતુષ્ટ છે.
આંધ્રપ્રદેશના ઉદ્યોગ મંત્રી ગુડીવડા અમરનાથે વળતો પ્રહાર કરીને કહ્યુ કે લોકોએ રાજ્યના પાંચ કરોડ લોકોની અંતરાત્મા પર વિશ્વાસ કરવો જોઈએ કે બિહારના રાજકારણીની વાત પર વિશ્વાસ કરવો જોઈએ. પ્રશાંત કિશોર ભૂતકાળમાં રાજકીય વ્યૂહરચનાકાર તરીકે કામ કરતા હતા. હવે તેઓ બિહારમાં રાજકીય પક્ષ ચલાવી રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને તેના સાથી પક્ષોને ટેકો આપતી મીડિયા સંસ્થાઓએ પ્રશાંત કિશોરની ભવિષ્યવાણીને ફેલાવવામાં ઉતાવળ કરી દીધી.
તેમણે વધુમાં કહ્યું, 'ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણ અને આંધ્ર પ્રદેશમાં જે લોકો તેમને સમર્થન આપવા જઈ રહ્યા છે તેમને શરમજનક હારનો સામનો કરવો પડશે. પાંચ વર્ષમાં 2.50 લાખ કરોડ રૂપિયાથી વધુના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી લાભ મેળવનાર ગરીબ લોકો જગન મોહન રેડ્ડીને ટેકો આપી રહ્યા છે.'












Click it and Unblock the Notifications
