રાજ્યપાલોના નામ નક્કી, હવે માત્ર વડાપ્રધાનની મહોર બાકી
નવી દિલ્હી, 13 જુલાઇ: જુની સરકારના રાજ્યપાલોને બદલવાના મિશનમાં લાગેલી મોદી સરકારે ઘણા રાજ્યો માટે નવા રાજ્યપાલોના નામ નક્કી કરી લીધા છે. સૂત્રો અનુસાર, આ સૂચિમાં ભાજપના સીનિયર નેતાઓ રામ નાઇક, બલરામજી દાસ ટંડન અને કેસરીનાથ ત્રિપાઠીનું નામ છે. ત્યારબાદ ભાજપ નેતાઓ શાંતા કુમાર, લાલજી ટંડન, ઓ રાજગોપાલ અને કૈલાશ જોશીનું નામ પણ સાંભળવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંજૂરી માટે સૂચિ વડાપ્રધાનને મોકલી દેવામાં આવી છે.
આ પહેલા, મોદી સરકારે યૂપીએ દરમિયાન નિમણૂંક કરાયેલા ઘણા રાજ્યપાલોની ફેરબદલી કરી દીધી હતી, જ્યારે કેટલાંકે રાજીનામુ આપી દીધું હતું. બે રાજ્યપાલ એચ. આર. ભારદ્વાજ (કર્ણાટક) અને દેવાનંદ કુંવર (ત્રિપુરા) ગયા મહિને નિવૃત્ત થઇ ગયા. મિઝોરમથી પોતાનું ટ્રાંસફર કરાતા નારાજ નાગાલેન્ડના રાજ્યપાલ વક્કોમ બી. પુરુષોત્તમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.
હાલમાં ગુજરાતની રાજ્યપાલ કમલા બેનીવાલની બદલી કરીને તેમને મિઝોરમના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનની રાજ્યપાલ મારગ્રેટ અલ્વાને ગુજરાતના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. બિહારના રાજ્યપાલ ડી. વાઇ. પાટિલને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.