જમ્મુ કાશ્મીર : LOC પર પાક. ફાયરિંગમાં 4 જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરમાં રવિવારે પાકિસ્તાને કર્યું ફાયરિંગ, જેમાં 4 જવાન શહીદ થયા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાણો આ સમાચાર અંગે વિગતવાર અહીં.
એલઓસી પર પાકિસ્તાન તરફથી લાંબા સમયથી સીઝફાયરિંગ થઇ રહ્યું છે. રવિવારે રાતે 9 વાગે રાઝૌરી ક્ષેત્રની નિયંત્રણ રેખામાં પણ ભિંબર ગલી સેક્ટરમાં પાકિસ્તાન સેનાએ ફરી સીઝફાયરનું ઉલ્લંધન કર્યું હતું. જેમાં ભારતે પણ વળતી કાર્યવાહી કરી હતી. જો કે પાકિસ્તાનની આ ફાયરિંગમાં ભારતીય સેનાના 4 જવાન શહીદ થઇ ગયા હતા. કેપ્ટન કપિલ કુંડ્ડ, રાયફલમેન રામઅવતાર અને શુભમ સિંહ તથા હવલદાર રોશન લાલ ફાયરિંગમાં શહીદ થયા છે. સાથે જ ત્રણ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે તેવી જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર પર જે આંતરાષ્ટ્રીય સરહદ છે તે પર તેની ખાસ અસર જોવા મળી રહી છે. ફાયરિંગના કારણે સીમાથી પાસે આવેલા ગામોનું પણ સામાન્ય જનજીવન ખોરવાયું છે.
અધિકૃત સુત્રોનું માનીએ તો પાકિસ્તાનની તરફથી પુંછમાં સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. સીમા પર પેટ્રોલિંગ કરી રહેલા સેનાના જવાનો પાકિસ્તાનની ગોળીબારીના ઝપેટમાં આવ્યા હતા. આ સિવાય પુંછ વિસ્તારની એલઓસી પર પણ પાકિસ્તાની સેનાએ અકારણ ગોળીબારી કરી હતી જેમાં એક કિશોરી અને એક ભારતીય નાગરિક ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે અધિકારીઓએ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ પાકિસ્તાની સૈનિકોએ પુંછ જિલ્લામાં શાહપુર વિસ્તારમાં સ્થિત નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓને નિશાનો બનાવી અકારણ ગોળીબારી કરી હતી. પાકિસ્તાને ભારતીય ચોકીઓ પર નાના સ્વચાલિક હથિયારો અને મોર્ટાર સેલથી આક્રમણ કર્યું હતું. જેમાં ભારતે પ્રભાવી રીતે વળતો જવાબ આપ્યો હતો. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરાષ્ટ્રીય સરહદ પર હાલ જે તણાવ વધ્યો છે તેનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો હવે જરૂરી બન્યો છે. કારણ કે આ કારણે બંન્ને દેશોની સામાન્ય જનતાનું જીવન જોખમાયું છે.