આખરે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા, આજની રાત જેલમાં જ રહેશે!
ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન આપ્યા છે. આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ ધામેચાને પણ જામીન મળ્યા છે.
મુંબઈ, 28 ઓક્ટોબર : ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન આપ્યા છે. આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ ધામેચાને પણ જામીન મળ્યા છે. NCB ટીમ દ્વારા 2 ઓક્ટોબરની રાત્રે ક્રુઝમાંથી ડ્રગ પાર્ટી કરવા બદલ આર્યન ખાન અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટે જામીન ન આપ્યા બાદ આર્યન ખાન બોમ્બે હાઈકોર્ટમાં ગયો હતો. જ્યાંથી આજે તેને જામીન મળ્યા છે. 25 દિવસની કસ્ટડી બાદ આર્યનને જામીન મળ્યા છે.
આર્યન ખાન આવતીકાલે જેલમાંથી બહાર આવશે
આર્યન ખાનનો કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટ બહાર જણાવ્યું કે, ત્રણ દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાને જામીન આપ્યા છે. જામીન અંગેનો વિગતવાર હુકમ આવતીકાલે આવશે. આ સ્થિતિમાં આશા છે કે આવતીકાલે મોડી સાંજે અથવા શનિવારે તમામ જેલમાંથી બહાર આવશે.
ત્રણ દિવસ સુનાવણી ચાલી
આર્યન ખાનની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે 20 ઓક્ટોબરે ફગાવી દીધી હતી. જે બાદ આર્યન ખાને જામીન અરજી પર ઝડપી સુનાવણી માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે તેને 26 ઓક્ટોબરની તારીખ આપી હતી. 26 ઓક્ટોબરથી તેની જામીનની સુનાવણી સતત ચાલી રહી હતી. ત્રણ દિવસની સુનાવણી બાદ આજે તેને જામીન મળ્યા છે.
મુકુલ રોહતગીએ આર્યનનો પક્ષ રાખ્યો
કોર્ટમાં એનસીબીએ આર્યનની વોટ્સએપ ચેટનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે ડ્રગ્સના સિન્ડિકેટનો ભાગ હોવાનું જણાય છે. તેનો પરિવાર ખૂબ જ પ્રભાવશાળી છે, તેથી તેને જામીન ન આપવા જોઈએ. NCBની દલીલો સ્થાનિક કોર્ટમાં ચાલી હતી પરંતુ બોમ્બે હાઈકોર્ટમાં મુકુલ રોહતગીએ આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. રોહતગીએ કોર્ટને કહ્યું કે આર્યનના ફોનમાંથી જે વોટ્સએપ ચેટ્સ મળી છે તે ક્રૂઝ પાર્ટી સાથે સંબંધિત નથી અને તે 2018ની છે. તેથી તેના પર આધાર રાખવો ખોટો છે.