આસારામ ઇન્દોર આશ્રમમાં અંડરગ્રાઉન્ડ : ઇન્દોરમાં જામીન માટે કરી અરજી
ઇન્દોર, 31 ઓગસ્ટ : કિશોરી પર બળાત્કારના કથિત આરોપમાં ભાગતા ફરતા આધ્યાત્મિક ગુરુ આસારામ ગઇ કાલે દેવાસમાં દેખાયા બાદ આજે અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. આજે માહિતી મળી છે કે તેમણે વચગાળાના જામીન મેળવવા માટે ઇન્દોર કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ દ્વારા તેઓ કાયદાકીય પગલાંથી બચવાના તમામ ઉપાયો અજમાવી રહ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 30 ઓગસ્ટે સમનનો સમય પૂરો થઇ ગયો છે. ત્યાર બાદ આસારામ બાપુ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. આ પહેલા આસારામે પોલીસ ધરપકડથી બચવા માટે 30 ઓગસ્ટે, શુક્રવારે અમદાવાદ કોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા હતા. આ અરજીને કોર્ટો નકારીને રાજસ્થાન કોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ તેઓ છેલ્લે દેવાસમાં જોવા મળ્યા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે આસારામ તેમના ઇન્દોર આશ્રમમાં પહોંચીને ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેઓ ઇન્દોર આશ્રમમાં પાછલા બારણે પ્રવેશ્યા છે. બીજી તરફ આજે સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર જોધપુરના આસારામ આશ્રમમાં તેમના સમર્થકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મીડિયાકર્મીઓ સાથે મારપીટ ઉપરાંત તેમના માઇક ઝૂંટવી લેવા ઉપરાંત તેમના કેમેરા તોડવામાં આવ્યા હતા. આ હુમલાખોરોમાં મહિલા સમર્થકોનો પણ સમાવેશ થતો હતો. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે 6 સમર્થકોની ધરપડક કરી છે.
મીડિયા પર થયેલા હુમલા કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાન સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજસ્થાન સરકારને નિર્દેશ કર્યો છે કે બાકાબૂ બનેલા આસારામના સમર્થકો સામે કડકાઇથી પગલા ભરવામાં આવે.
આ નિર્દેશને પગલે જોધપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. આ સાથે પોલીસે જોધપુર આશ્રમને ખાલી કરાવાનું શરૂ કરી દીધું છે. આશ્રમને સીલ પણ કરી દેવામાં આવ્યો છે. આશ્રમની બહાર પોલીસ દળને તૈનાત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો આશ્રમ બહાર ઉમટી પડ્યા છે.












Click it and Unblock the Notifications
