
Assam floods: આસામમાં પૂરમાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત, બ્રહ્મપુત્ર-બરાકમાં સ્થિતિ વિકટ
ગુવાહાટીઃ આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ બનેલી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ સતત ચાલી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વધુ સાત લોકોના મોતને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આસામના હોજાઈ, નલબારી, બજલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં સૌથી વધુ જાન-માલનુ નુકસાન થયુ છે. જ્યારે રાજ્યના 30 જિલ્લાઓમાં 45.34 લાખ લોકો પ્રભાવિત થયા છે.

બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ હજુ પણ ઉફાન પર
સીએમ હિમંતા બિસ્વા સરમાએ પૂરનુ હવાઈ દૃશ્ય સર્વેક્ષણ કર્યુ હતુ. જ્યારે પીએમ મોદીએ સર્વે કરતી વખતે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર આસામમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ હજુ પણ ઉફાન પર છે. વળી, રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. સ્કાઈમેટ એજન્સીએ કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે.

ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે
માહિતી મુજબ સેના તરફથી પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનુ કામ સતત ચાલી રહ્યુ છે. હવે રાજ્યના સાત જિલ્લાઓમાં 32 હજારથી વધુ લોકોને 55 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. સેના અને વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

જનજીવન અસ્તવ્યસ્ત
જો કે, ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે પરંતુ સેનાના જવાનો સતત લોકોની મદદમાં લાગેલા છે, જ્યારે ભારે વરસાદને કારણે આસામના ઘણા પૂર પ્રભાવિત જિલ્લાઓમાં વીજળી પણ ડૂલ છે. એકંદરે જનજીવન અસ્તવ્યસ્ત છે. પાક અને પશુઓને પણ નુકસાન પહોંચ્યુ છે.