અટલ બિહારી વાજપેયી, મદન મોહન માલવીયને ભારત રત્ન એનાયત થશે
નવી દિલ્હી, 24 ડિસેમ્બર : આજે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્રની એનડીએ સરકારે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક અને હિન્દુ મહાસભાના નેતા પંડિત મદન મોહન માલવિયને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયક કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને સર્વત્ર આવકાર મળ્યો છે.
વડા પ્રધાન નિવાસ સ્થાને થયેલી કોર ગૃપની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ આ નિર્ણય લેવાયો હતો. આ અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનીય છે કે આવતીકાલે અટલજીના જન્મદિવસ છે. ત્યારે આ જાહેરાત મહત્વની બને છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 43 નાગરિકોને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરનાર માલવીયને પણ 'ભારત રત્ન' આપવાનું વચન આપ્યું હતું.
અટલ બિહારી વાજપેયીની ભારત રત્ન આપવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. આ દરમિયાન લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે અટલજી સાચા અર્થમાં આ સમ્માનને યોગ્ય છે.
અટલજીને ભારત રત્ન આપવાના સરકારના નિર્ણયને સાર્વત્રિક આવકાર મળ્યો છે. અટલજીના પરિવારજનોએ આ ખુશખબર સાથે અટલજી માટે તેમના મનગમતા વ્યંજનો બનાવ્યા છે. પરિવારના સભ્યોએ પણ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલજીના પ્રદાનને બિરદાવતા તેમનો આભાર માન્યો છે. તેમણે બંને મહાનુભાવોને દેશનું સર્વોચ્ચ સમ્માન આપવાના નિર્ણય બદલ આનંદ વ્યક્ત કર્યો છે.
જેડીયુ નેતા નિતિશ કુમારે આ મુદ્દે યુપીએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે યુપીએ સરકારે પહેલા જ અટલજીને આ સમ્માન આપવું જોઈતું હતું.