શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનું નિધન, મોતાશ્રી ખાતે માતમ
માંદગીના બીછાને રહેલા બાળા સાહેબની તબિયત વધુ ખરાબ થઇ હોવાના સમાચાર મળતાં જ તેમના ભત્રીજા અને મનસે સુપ્રીમો રાજ ઠાકરે તેમના પરિવાર સાથે માતોશ્રી પહોંચી ગયા હતા. આ તકે માતોશ્રી બહાર રહેલા શિવસૈનિકોને શાંતિ જાળવી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. બાળા સાહેબના નિધનથી શિવસૈનિકો શોકમાં ગરકાવ થઇ ગયા છે.
બાળા સાહેબના નિધનના સમાચાર જેમ-જેમ વહેતા થઇ રહ્યાં છે, તેમ-તેમ મોતાશ્રી ખાતે શિવસૈનિકોનો ઝમાવડો થઇ રહ્યો છે. પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. માતોશ્રી ખાતે શિવસૈનિકો દ્વારા બાળા ઠાકરેની યાદમાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. મોહલ તંગ થઇ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ તકે શિવસેનાના નેતા સંજય રાઉતે શિવસૈનિકોને અપીલ કરી હતી કે, તેઓ શહેરમાં શાંતિ જાળવી રાખે અને અશાંતિનો માહોલ ઉભો ના કરે, કારણ કે બાળા સાહેબ ઠાકરેએ પોતાનું સંપૂર્ણ જીવન સંયમિત અને શિસ્તતામાં વિતાવી છે તેથી શહેરમાં શાંતિ જાળવવીએ આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે, બાળા સાહેબનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે રાખવામાં આવશે અને આવતીકાલે સવારે અંતિમ દર્શન કરવામાં આવશે.
નોંધનીય છે કે બાળા સાહેબ ઠાકરેની તબિયત લથડવાના સમાચાર મળતાની સાથે જ અલગ-અલગ ક્ષેત્રની મોટાભાગની હસ્તીઓ મોતાશ્રી ખાતે આવ્યા હતા અને બાળા સાહેબની મુલાકાત લીઘી હતી, તેમજ તેમની લાંબા આયુષ્ય માટે દુવાઓ કરી હતી.
બાળા સાહેબના જીવન પર એક નજર
બાળા સાહેબ માટે હંમેશા મુંબઇ અને મરાઠી સર્વોપરી રહ્યાં. તેમણે કારકિર્દીની શરૂઆત એક નેતા તરીકે નહીં પરંતુ કાર્ટૂનિસ્ટ તરીકે કરી છે. 1950ના દસકામાં તે ફ્રી પ્રેસ જર્નલમાં કાર્ટૂનિસ્ટ બન્યા. તેના ઘણા કાર્ટૂન ભારતના ટાઇમ્સની રવિવારની આવૃતિમાં પ્રકાશિત કરવામાં આવ્યા. 1960માં, તેમણે એક કાર્ટૂન સાપ્તાહિક માર્મિક શુભારંભ કર્યો. તેમણે અભિયાનમાં બહારના લોકોના વઘતા પ્રભાવને ઓછો કરવા મુંબઇમાં મરાઠી લોકોનો ગુજરાતી અને દક્ષિણ ભારતીયો વિરુદ્ધ ઉપયોગ કર્યો.
બાળા સાહેબે 19 જૂન 1966માં મૂળ અધિકારો માટે લડવાનો સંકલ્પ સાથે શિવસેનાની સ્થાપના કરી. શિવસેનાનો પ્રારંભિક ઉદ્દેશ્ય અપ્રવાસીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રીયનો માટે કામની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો હતો. આગળ જતા શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કર્યું. ભાજપ શિવસેનાની યુતિએ 1995માં મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસબા ચૂંટણીમાં સત્તા મેળવી. એ દરમિયાન ઠાકરેએ કોઇ પદ મેળવ્યું નહીં. પડદા પાછળ બેસીને કામ કરતા રહ્યાં. એ સમયે તેમને રીમોટ કન્ટ્રોલની સજ્ઞા આપવામાં આવી. તેમના જીવનમાં અનેક રાજકીય લડાઇ લડનારા બાળ ઠાકરેએ આગળ જઇને પાર્ટી અધ્યક્ષ પદ છોડી દીધુ, પરંતુ તેમ છતાં તેમનું સ્થાન કોઇ લીધું નહીં. તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે આજે પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે.