ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર હુમલો કરનાર ચાર શકમંદો કસ્ટડીમાં, કાર પણ કરાઈ જપ્ત
બુધવારે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા ચાર શકમંદોની પોલીસે અટકાયત કરી છે. તેમજ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે એક કાર પણ જપ્ત કરી છે, જેનો આ ઘટનામાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, યુપી પોલીસની ટીમે સહારનપુરમાંથી એક કાર કબજે કરી છે. હુમલાખોરો આમાં સવાર થઈને આવ્યા હોવાનું મનાય છે. આ સિવાય 4 લોકોની અટકાયત કરવામાં આવી છે.

બીજી તરફ, ચંદ્રશેખરની હાલત હવે ઠીક છે, આવી સ્થિતિમાં તેમને ગુરુવારે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. હૉસ્પિટલની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અંદર જતા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે ભીમ આર્મી ચીફ બુધવારે દેવબંદ પહોંચ્યા હતા. તે દરમિયાન અમુક લોકો કારમાં આવ્યા અને તેમની કાર પર ફાયરિંગ કર્યું. જો કે, સદનસીબે ગોળી પેટને અડીને બહાર આવી ગઈ. તેમને તરત જ દેવબંદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કાર હરિયાણા નંબરની હતી. આવી સ્થિતિમાં તમામ સ્થળોએ નાકાબંધી કરીને તાત્કાલિક સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તે રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવ્યા હતા.
આ કેસમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચંદ્રશેખર પર કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરો સ્વીફ્ટ ડિઝાયર કારમાં હતા. આ ઘટના બની ત્યારે તે દિલ્હીથી ઘરે જઈ રહ્યા હતા. હાલ તેમની હાલત સામાન્ય છે. જ્યારે ચંદ્રશેખરે પોલીસને કહ્યું કે તેમને હુમલાખોરો યાદ નથી, પરંતુ તેમના લોકોએ તેમને બરાબર જોયા છે. તેઓ હુમલો કરીને સહારનપુર તરફ ભાગી ગયા હતા, જ્યારે તેમના વાહને યુ-ટર્ન લીધો હતો.












Click it and Unblock the Notifications
