ઉત્તરાખંડના જોશીમઠ પાસે મોટો અકસ્માત, 3 મહિલા સહિત 12 લોકોના મોત!
ઉત્તરાખંડમાં સતત ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે હવે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, ઉત્તરાખંડના જોશીમઠ પાસે આ અકસ્માત સર્જાયો છે અને તેમાં 3 મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડમાં સતત ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે હવે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, ઉત્તરાખંડના જોશીમઠ પાસે આ અકસ્માત સર્જાયો છે અને તેમાં 3 મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત જોશીમઠ બ્લોકમાં ઉરગામ-પલ્લા જાખોલા મોટરવે પર થયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
અકસ્માતને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે. ચમોલીના જોશીમઠના ઉરગામ પાલા જાખોલા રોડ પર આ ગંભીર અકસ્માત બાદ મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરી રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસ અને મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને વિનામૂલ્યે સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક વહીવટીતંત્ર અકસ્માત સ્થળે પહોંચી ગયુ છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.
ગંભીર ઘટનાને લઈને મુખ્યમંત્રીએ માર્ગ અકસ્માત દરમિયાન લોકોને મદદ કરવા અપીલ પણ કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા દેહરાદૂનના જીએમએસ રોડ પાસે ગુરુવારે એક રોડ અકસ્માતમાં સ્કૂટી પર સવાર બે છોકરાઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન સીએમનો કાફલો ત્યાંથી જઈ રહ્યો હતો. રસ્તા પર ઘાયલ બાળકોને જોઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમનો કાફલો રોકી છોકરાઓની તબિયતની પૂછપરછ કરી અને કાફલામાં દોડતી પાયલોટ કારમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા સૂચના આપી હતી.