પટણા વિસ્ફોટોનો આરોપી NIAની કસ્ટડીમાંથી ફરાર
મુઝફ્ફરપુર, 31 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો એક મહત્વપૂર્ણ આરોપી મેહરે આલમ એનઆઇએની કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો છે. મેહરે આલમ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ફરાર થઇ ગયો. તેને ત્રણ દિવસ પહેલા દરભંગાથી પકડી પાડવામાં આવ્યો હતો.
જાણકારી અનુસાર મેહરે આલમ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ફરાર થઇ ગયો. તેનું નામ ઇમ્તિયાઝ સાથેની પૂછપરછમાં સામે આવ્યું હતું, અને ધરપકડ થયા બાદ જ એનઆઇએની ટીમ તેની પૂછપરછ કરી રહી હતી. તેની તપાસ માટે ટીમ બનાવી દેવામાં આવી છે. એનઆઇએનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે.
એનઆઇએની ટીમે જણાવ્યું કે તેના ગૂમ થયા અંગેની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મેહરે આલમ જ્યાંથી ફરાર થઇ ગયો છે તે મુઝફ્ફરપુર પટણાથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે આવતીકાલે રાત્રે નરેન્દ્ર મોદી પટણા જવા માટે રવાના થવાના છે, અને 2 નવેમ્બરના રોજ પીડિતો સાથે મુલાકાત કરશે, અને વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે પણ જશે.