પાપીઓની ગંગા બની ભાજપ, ડુબકી લગાવી દાગી નેતાઓ પાપ ધોઈ રહ્યા છે
કોંગ્રેસ પાર્ટી દ્વારા મોદી સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનું જે અભિયાન ચલાવાયુ તેનું પરિણામ એ આવ્યુ કે 2019માં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ.
કોંગ્રેસ પાર્ટી દ્વારા મોદી સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનું જે અભિયાન ચલાવાયુ તેનું પરિણામ એ આવ્યુ કે 2019માં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ. આ પહેલા 2014માં પણ ભાજપને મત એટલે મળ્યા કારણ કે અન્ય રાજકીય પાર્ટીઓની તુલનામાં ભાજપની છવી સાફ સુથરી હતી. પી. ચિદંબરમ્બર સહિત અનેક નામચીન લોકો પર કાયદાકીય સિકંજો કસાતા લોકોને સંતોષ મળ્યો કે આ સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહી છે.
જો કે હવે લોકોને ભાજપના વલણમાં કેટલોક ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ અનેક લોકો પોતાની પાર્ટી છોડી ભાજપમાં શામેલ થયા છે. આ નેતાઓમાં એ પણ શામેલ છે કે જેઓ કાલ સુધી ભાજપને ભ્રષ્ટ કહેતા હતા. કેટલાક પર તો કેસ પણ ચાલી રહ્યા છે. એટલું જ નહિં ઈડી અને સીબીઆઈના શિકંજામાં તેઓ ફસાયેલા છે. આવા અનેક દાગી નેતાઓને ભાજપે શરણે લીધા છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપની સહયોગી રિપલ્બિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ પશ્ચિમ મહારાષ્ટ્રના ફળટણ વિધાનસભા ક્ષેત્રથી દિપક નિકાલજેને મેદાનમાં ઉતાર્યો છે. જે જેલમાં બંધ અન્ડરવલ્ડ ડૉન છોટા રાજનનો ભાઈ છે. ફલટન વિધાનસભા સીટ અંડરવલ્ડના ડોન છોટા રાજનનો ગઢ માનવામાં આવે છે.
ચેંબૂરના આ વિસ્તારમાંથી બ્લેક માર્કેટિંગના છોટા રાજને ગુન્હાની દુનિયામાં પગ મુક્યો હતો. છોટા રાજન હાલ મુંબઈની જેલમાં બંધ છે. દિપક નિકાલજે છોટા રાજનનો નાનો ભાઈ છે. 51 વર્ષના સદાશિવ નિકાલજે મુંબઈ ઘાટકોપરમાં રહે છે. તે 10 સુધી ભણેલા છે. 2014ની ચૂંટણીમાં તેમણે પોતાનો ઘંધો વ્યવસાય બતાવ્યો હતો. ચૂંટણી પંચે તેની 17 કરોડથી વધુની સંપતિ જાહેર કરી છે. 2019માં તેણે પોતાની કુલ 3 કરોડ 91 લાખ સંપતિ બતાવી હતી.
દિપક નિકાલજે ના કારનામા
દિપક નિકાલજે 2014ની ચૂંટણીમાં પોતાની પર ચાલી રહેલા 3 કેસો વિશે જાણકારી આપી હતી. જેમાં તમામમાં તેને જમાનત મળી ગઈ છે. મોટાભાગના મામલા મિલકતની દગાબાજી, સરકારી સંપતિને નુકશાન, રમખાણો ફેલાવવા, ખોટા ઈરાદા સાથે એક જગ્યાએ ભીડ ભેગી કરવી અને ગુન્હાનું કાવતરુ કરવાના છે. ઉપરાંત 2018માં દિપક નિકાલજે વિરુદ્દ બળાત્કારનો એક કેસ ખૂબ ચર્ચામાં રહ્યો. 22 વર્ષની એક સ્ત્રીએ દિપક વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કરાવ્યો છે. આ સ્ત્રીનો દાવો છે કે 18 વર્ષની ઉંમરમાં તે ઈન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. તે સમયે તેને પૈસાની જરૂર હતી. ત્યારે તે દિપકના સંપર્કમાં આવી હતી. તેને હતુ કે સ્થાનીય નેતા હોવાને કારણ દિપક નિઃસ્વાર્થ ભાવથી તેની મદદ કરી રહ્યો છે. તેણે જણાવ્યુ કે દિપકે 4 વર્ષ સુધી તેને પૈસાની મદદ કરી. પછી લગ્નના નામે તેનું શારીરિક શોષણ કરવા લાગ્યો.
મુકુલ રૉય પણ ભાજપમાં શામેલ
3 નવેમ્બર 2017ના રોજ મુકુલ રૉય ભાજપમાં શામેલ થયા. આ પહેલા તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં હતા. તેઓ શારદા ગોટાળાના આરોપી છે. સીબીઆઈથી લઈ ઈડી તેમની પાછળ પડી છે. તેમની પૂછતાછ પણ થઈ ચૂકી છે. જો કે હવે તો એ વાતો જૂની થઈ ગઈ. જ્યારે તેઓ ભાજપમાં શામેલ થયા ત્યારે તેમને સરકાર તરફથી વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી. ભલે તેઓ શારદા ગોટાળાથી બચી ગયા હોય પણ નારદ ટેપ સ્કેન્ડલમાં સીબીઆઈ તેમની પૂછતાછ કરી રહે છે. હવે જોવાનું એ કે નારદ ટેપ સ્કેન્ડલમાં ક્યારે તે નિર્દોશ છૂટે છે. આમ તો ભાજપ પણ સારી રીતે જાણે છે કે મુકુલ રોય દાગી છે. આ રીતે બધા જ ભાજપમાં શામેલ થઈ પોતાને સાફ કરવા માંગે છે.
પૂર્વ આરોપી હેમંત બિસ્વા શર્મા પણ ભાજપના લાડિલા
અસમમાં 2016માં વિધાનસભા ચૂંટણી થવાની હતી. તેના થોડા જ સમય પહેલા બિસ્વા શર્મા કોંગ્રેસમાંથી ભાજપમાં શામેલ થયા. આજે તેઓ અસર સરકારમાં મંત્રી છે. જો કે રસપ્રદ વાત તો એ છે કે કોંગ્રેસ છોડ્યાના માત્ર એક મહિનાની અંદર જ 21 જુલાઈ 2015ના રોજ ભાજપે એક બુકલેટ જારી કર્યો. તેમાં સ્પષ્ટ લખેલું હતુ કે વોટર સપ્લાય સ્કેમમાં પ્રમુખ સંદિગ્ધ ગુવાહાટી ડેવલપમેન્ટ છે. તે સમયે આ વિભાગના પ્રભારી હેમંત બિસ્વા હતા. આ પ્રોજેક્ટમાં લુઈસ બર્જર કંપનીની સેવાઓ પર સવાલ ઉઠાવાયા. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની તપાસમાં ખુલાસો પણ થયો હતો કે અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની લુઈસ બર્જરે અસમમાં કેટલાક મોટા ઓફિસરો અને નેતાઓને લાંચ આપી કોન્ટ્રાક હાંસલ કર્યા હતા. જો કે હવે તેઓ આ દાગમાંથી મુક્ત છે અને ભાજપે તેમને આરોગ્ય મંત્રીનું પદ આપ્યુ.
હિમાચલ રાજકારણના ચાણક્ય સુખરામ અને તેમનો દિકરો અનિલ
ઓક્ટોબર 2017માં હિમાચલ પ્રદેશના રાજકારણના ચાણક્ય કહેવાતા સુખરામ ભાજપમાં શામેલ થયા હતા. તેઓ સાથે પોતાના દિકરા અનિલને પણ લઈ ગયા. તમને જણાવી દઈએ કે સુખરામ દુરસંચાર ગોટાળામાં શામેલ હતા. ત્યાર બાદ કોંગ્રેસમાંથી કાઢી મુકાયા. સુખરામ ભાજપમાં શામેલ થયા તો તેમના બધા જ આરોપો ખતમ થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે ભાજપે દૂર સંચાર ગોટાળામાં શામેલ સુખરામ મામલે આશરે 2 અઠવાડિયા સુધી સંસદ ચાલવા દીધી નહિં. ભાજપ પ્રવક્તા તરીકે સુધાંશું ત્રિવેદીનું કહેવું છે સુખરામ વિરુદ્ધ અનેક જૂના કેસો છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. ભાજપ ખરેખર ગંગા જ બની ગઈ છે, જેમાં ડુબકી લગાવી લોકો પોતાના પાપ ધોઈ રહ્યા છે.
ભાજપમાં શામેલ થયેલા નિતેશ રાણા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના દિકરા નિતેશ રાણા ગુરુવારે ભાજપમાં શામેલ થયા. કહેવાય છે કે એકવાર ફરી તેઓ કંકાવલી સીટથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. વર્ષ 2014માં નિતેશ રાણેએ આ સીટ પર કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડી હતી. નિતેશે 25 હજારથી વધુ મત મેળવી જીત મેળવી હતી. તમને એ વિડિયો યાદ હશે કે જેમાં એક અધિકારીને પુલથી બાંધવામાં આવ્યો અને તેના પર કિચડ ફેંકવામાં આવ્યુ. આ બધુ જ નારાયણ રાણેએ કર્યુ હતુ. કિચડ ભલે સરકારી અધિકારી પર ફેંકાયુ પણ તેના છાંટા નિતેશ રાણેના પિતા નારાયણ રાણે પર પણ પડ્યા. દિકરાની આ ભૂલ માટે મુખ્યમંત્રી નારાયણ રાણેએ માફી માંગવી પડી હતી.
એનડીએનો ભાગ નારાયણ રાણે પર પણ ચાલી રહ્યા છે કેસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે ઘણા સમયથી ભાજપમાં જોડાવા માંગતા હતા. સપ્ટેમ્બર 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની પાર્ટી મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ શરૂ કરી. જે એનડીએનો ભાગ છે. 2018માં તેમણે ભાજપને સમર્થન આપ્યુ અને રાજ્યસભામાં નોમિનેટ પણ થયા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓ ભાજપમાં શામેલ થયા જે શિવસેનાને ગમ્યુ નહિં. 1999માં રાણે શિવસેનામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. મરાઠા સમુદાયના રાણેની કોંકણ ક્ષેત્ર પર મજબૂત પક્કડ હોવાથી ભાજપ તેને પોતાના શામેલ કરવા માંગતી હતી. નારાયણ રાણેનું નામ આદર્શ ગોટાળામાં શામેલ છે. જેનો તેમના પર કેસ પણ ચાલે છે. તેમના બીજેપીમાં શામેલ થવા પર લોકો બીજેપીને કોસે છે.
બુક્કલ નવાબ પણ કાયદાથી બચી ગયા
એક સમયે જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં બુક્કલ નવાબની બોલબાલા હતી. સરકાર સત્તામાંથી હટતા તેમણે સમાજવાદી પાર્ટી છોડી દીધી અને ઓગસ્ટ 2017માં બીજેપીમાં જોડાયા. જ્યારે તેઓ સમાજવાદી પાર્ટીમાં હતા ત્યારે લખનઉ રિવરફ્રન્ટ મામલે ભ્રષ્ટાચારના આરોપી હતા. જો કે બીજેપીમાં શામેલ થતા જ તેમનો નિર્દોષ સાબિત થઈ ગયા અને હવે તેઓ પાર્ટીને ખુશ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને હિંદુત્વના એજન્ડા સાથે પાર્ટીને આગળ વધારી રહ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની યાતનાઓ વેઠીને પાછો આવેલો જવાન નોકરી છોડી રહ્યો છે