નૂપુર શર્માને ભાજપ બનાવી શકે છે દિલ્હી CMના ઉમેદવાર : અસદુદ્દીન ઓવૈસી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આવતા 6-7 મહિનામાં નુપુર શર્માને મોટી નેતા બનાવશે.
નવી દિલ્હી, 19 જૂન : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આવતા 6-7 મહિનામાં નુપુર શર્માને મોટી નેતા બનાવશે. એવી પણ શક્યતા છે કે, નુપુર શર્માને દિલ્હીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે કારણ કે પાર્ટી મુસ્લિમોનું અપમાન કરનારાઓને મોટું પદ આપે છે.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભાજપ નુપુર શર્માને બચાવી રહી છે, અમે વડાપ્રધાન મોદીને અપીલ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ એક શબ્દ પણ બોલી રહ્યા નથી. નુપુર શર્મા વિરુદ્ધ પહેલી FIR હૈદરાબાદમાં નોંધવામાં આવી હતી. હું પોલીસ વડા અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે, પોલીસને દિલ્હી મોકલો અને નૂપુર શર્માને અહીં લાવો. તમારે તેમને અહીં લાવવા જોઈએ. એફઆઈઆરથી શું થશે, કંઈક કરો, કમસેકમ એમ કહો કે, તમે દિલ્હી જઈને તેમને લઈ આવશો.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથ, મમતા બેનર્જી વિરુદ્ધ કંઈ પણ બોલે છે, તો તેની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કંઈ બોલે છે, તો કોઈની ધરપકડ થતી નથી. વડાપ્રધાન મોદીના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, અબ્બાસ ભાઈને ફોન કરો અને તેમને ઓવૈસીનું ભાષણ સાંભળવા કહો, પછી તેમને પૂછો કે, હું જે બોલી રહ્યો છું તે ખોટું છે કે સાચું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની માતાના 100માં જન્મદિવસ પર PM મોદીએ એક ઈમોશનલ બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે.
જે રીતે ઉત્તર પ્રદેશ સરકાર બુલડોઝર અભિયાન ચલાવી રહી છે, તેના પર ઓવૈસીએ જણાવ્યું હતું કે, અલ્હાબાદમાં આફરીન ફાતિમાનું ઘર તોડવામાં આવ્યું, તમે આ ઘર કેમ તોડ્યું. કારણ કે તેના પિતાએ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આખરે ન્યાય કોણ નક્કી કરશે? કોર્ટ નક્કી કરશે કે તેણે પ્રદર્શનનું આયોજન કર્યું હતું કે નહીં. કોર્ટ આમાં ન્યાય કરશે, કોર્ટ તેની પત્ની અને બાળકોને સજા નહીં આપે.